દિલ્હી-

અફઘાનિસ્તાનથી સુરક્ષિત કાઢીને ભારત લવાયેલા ઓછામાં ઓછા 16 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. ભારત સરકાર સાથે લોકોને બહાર કાઢવામાં જોડાયેલા લોકોએ મંગળવારે આ જાણકારી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક કાર્યાલય જ્ઞાપન મુજબ અફઘાનિસ્તાનથી લાવવામાં આવેલા લોકો માટે અહીં ભારત આઈટીબીપીના છાવલા સ્થિત છાવણીમાં ન્યૂનતમ 14 દિવસના ઈન્સ્ટિટ્યૂશન ક્વોરેન્ટાઈનને ફરજિયાત કરવામાં આવ્યું છે. કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખી મંત્રાલયે આ પગલું ભર્યુ છે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનથી આવેલા કોઈ પણ વ્યક્તિમાં કોરોનાની પુષ્ટિ થવા અને તેમાં બિમારીના લક્ષણ દેખાયા બાદ તેને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. અફઘાનિસ્તાનથી લોકોને કાઢવામાં સહયોગ આપનારા ઉદ્યોગપતિ કણ્વ ભલ્લાએ કહ્યું કે દુશાંબેના રસ્તે કાબૂલથી પહોંચેલા તમામ 78 લોકોના આઈજીબીઆઈ હવાઈ મથક પર કોરોના પરિક્ષણ કરાયું અને તેમાથી લગભગ 16 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.