લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2025 |
ભરુચ |
4158
૧૫મી ઓગષ્ટ અને જન્માષ્ટમીની રજાઓમાં ઝાડેશ્વર ખાતેના મકાનમાં તાળુ મારીને પરિવાર સાથે વતનમાં ગયેલા વેપારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો દરવાજાનો નકૂચો તોડીને અંદર પ્રવેશી રૂા. ૫.૬૧ લાખના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ઝાડેશ્વર ગામ ખાતે જન્માષ્ટમીની ઉજવણી હેતુ વતન ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ.5.61 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઈ જતા ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
મૂળ જૂનાગઢના વતની અને હાલ ઝાડેશ્વર ગામ જીએનએફસી ટાઉનશિપ નજીક પટેલ નગર સોસાયટીમાં રહેતા દુર્ગેશભાઈ સાવલિયા દહેજ ખાતે ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.10 ઓગષ્ટના રોજ તેઓ પરિવાર સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે વતન જુનાગઢ ગયા હતા.
જ્યાંથી તા.17 ઓગષ્ટના રોજ તેઓ પરત ફરતા મકાનના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હોય ઘરમાં સામાન વેરવિખેર હતો. અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રૂ.5.40 લાખની કિંમતના સોનાના ઘરેણા અને રૂ.21 હજારની કિંમતના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.5,61,502ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં સોનાનું પેન્ડલ, સોનાની કડી, સોનાની વીંટી, સોનાની ચેન, ચાંદીના સાંકડા, ચાંદીનો કંદોરો સહિતના દાગીનાનો સમાવેશ થાય છે. આ અંગે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.