અમદાવાદ-

આજે વહેલી સવારે શહેરના રાણીપ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી, નેમિનાથ સોસાયટીમાં સવારે ચા બનાવતા કે અન્ય કારણોસર ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના થવાના કારણે, લાગેલ આગમાં બે મહિલાઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જયારે બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર લોકોને ઈજાઓ થતાં, ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી કરી હતી. ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યા મુજબ, બે માળના મકાનમાં ગેસનો બાટલો આખી રાત લીકેજ થયો હોવાની શક્યતા છે. સવારે ઉઠીને ચા બનાવવા જતાં અથવા અન્ય કોઈ કારણોસર ગેસ ચાલુ કરતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હોય શકે છે. જોકે હજી સુધી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બે માળના મકાનમાં માલિક અને ભાડૂઆત ઉપર નીચે રહેતા હતા. આ ઘટનામાં નૂતનબેન રસિકભાઈ પંચાલ અને ભાવનાબેન પટેલના ઘટના સ્થળે જ મોત થયા છે, અને મયૂર પંચાલ,આશિષ પટેલ,વિષ્ણુ પટેલ,ઈચ્છાબેન પટેલ ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.