અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએથી કુલ ૩ સિંહબાળના મોત થતાં ખળભળાટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુન 2026  |   2178

ગુજરાત એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હોવા માટે સમગ્ર વિશ્વમાં ગર્વ અનુભવે છે, તે આજે વન્યજીવ સંરક્ષણને લઈને એક મોટા વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર કચ્છના બન્ની વિસ્તારમાં આફ્રિકન ચિત્તાઓને વસાવવાની મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે, તો બીજી તરફ અમરેલી જિલ્લામાં સિંહબાળોના થતા રહસ્યમય અને ચોંકાવનારા મોત વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

તાજેતરમાં અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સિંહબાળોના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યના વનવિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. દલખાણીયાના રેવન્યુ વિસ્તારમાં એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મોત શંકાસ્પદ જણાતા હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્થાનિક આરએફઓએ આ ગંભીર બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

એવી પણ શક્યતા છે કે કોઈ આ સિંહબાળના મૃતદેહને ત્યાં ફેંકી ગયું હોય. બગસરા તાલુકાના હામાપુર ગામે બેથી ત્રણ દિવસના એક સિંહબાળનું મોત થયું, જ્યારે પાણીયા રેન્જમાં ઇન્ફાઇટ (આંતરિક ઝઘડા) દરમિયાન એક સિંહબાળનું મોત થયું. એક જ દિવસમાં ત્રણ સિંહબાળોના મોત એ દર્શાવે છે કે સિંહોની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક ગંભીર ક્ષતિઓ રહી ગઈ છે.

જ્યારે સિંહબાળોના મૃત્યુથી વનવિભાગ પર દબાણ છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં ચિત્તા લાવવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓને વસાવવા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા લાવવામાં આવશે. ત્યારબાદ એક વર્ષમાં કુલ ૧૨ ચિત્તાઓને બન્નીમાં લાવવાનું લક્ષ્ય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution