લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026 |
2970
મોટાભાગે ઉદ્યોગોથી ધમધમતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. ઓઢવમાં આવેલી એક કંપનીની બિલકુલ નજીક કચરાના એક વિશાળ ઢગલામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જાેકે, અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને કચરો હટાવતા અંદરથી એક યુવકનો ભડથું થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને પગલે ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી જી તપાસ હાથ ધરી હતી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જય કેમિકલ કંપની નજીક કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. કચરાના મોટા ઢગલામાં આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જાેવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટના બાદ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજાે લઈને ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. જાેકે તે કચરાના ઢગલા પાસે કેવી રીતે પહોંચ્યો અને આગની ઘટનામાં તેનું મોત કેવી રીતે થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ શકી નથી.