લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026 |
2475
ઓલપાડની કાંઠા સુગરમાં કરોડોનાં કૌભાંડ કેસમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કરોડો રૂપિયાનાં કૌભાંડમાં ત્રણ આરોપીની ધરપકડ કરનાર ઓલપાડ પોલીસે બિન્દાસ્ત ફરી રહેલાં કાંઠા સુગરનાં પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતનાં ભાજપનાં નેતાઓ અને અગ્રણીઓની ધરપકડ કર્યા વિના કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેતાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનાં ઉપરી અધિકારીઓની નીતિ રીતિ ઉપર શંકાની સોય તકાઇ રહી છે અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ ઝોન સમિતિના પ્રમુખ અને હાલના ભાજપના ચૂંટાયેલા તાલુકા પંચાયતનાં સભ્ય તેમજ પૂર્વ તાલુકા પંચાયતનાં સભ્યોનાં નામોનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કરાયો છે. જાે કે, ભાજપનાં નેતાઓ હોવાથી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી તેવા આક્ષેપો થઇ રહ્યાં છે. આ કેસમાં તપાસની પારદર્શિતા અને પોલીસની નિષ્પક્ષતા અંગે પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. જાે તપાસમાં પૂરતા પુરાવાનાં આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય તો ત્યારબાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ આગળ વધી રહી નથી?
પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી દર્શન નાયકે પત્રકારો સાથે વાતચીત દરમિયાન પુરાવા સાથે માહિતી આપતા જણાવ્યું કે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ કાંઠા સુગર સંબંધિત કેસમાં આઇપીસી ની કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧૨૦(મ્) જેવી ગંભીર કલમો કે જેમાં ૧૦ વર્ષ સુધીની સજાને પાત્ર કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કલમો વિશ્વાસઘાત, છેતરપિંડી, ખોટા દસ્તાવેજાેની બનાવટ અને ગુનાહિત ષડયંત્ર જેવા ગંભીર આરોપોને આવરી લે છે. આરોપો એટલા ગંભીર હોવા છતાં આરોપીઓની ધરપકડ કર્યા વિના પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે કારણ કે જે આરોપીઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયેલા છે. આરોપીઓ પૈકી ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય અને હાલનાં તાલુકા પંચાયતનાં સભ્ય પણ છે. એક બાજુ ગૃહ મંત્રી અને સરકારના મંત્રીઓ ખોટું કરનાર એક પણને છોડવામાં આવશે નહીં. યુપી અને બિહારથી આરોપીઓને પકડીને લાવવામાં આવે છે, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી સાથે સકંલાયેલ આરોપીઓ ખુલ્લેઆમ ઓલપાડમાં ફરતા હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી રહી નથી.
વોન્ટેડ જાહેર કરેલા આરોપીઓમાં પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલ, ભાજપ અગ્રણી બાલુ ખુશાલ પટેલ, હાલનાં ઓલપાડ તાલુકા પંચાયત સભ્ય ધર્મેશ ઈશ્વર પટેલ, સુડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી, અટોદરા ગામના સરપંચ નઝીર ગુલામ મુસ્તફા, તાલુકા પંચાયતનાં ભાજપનાં પૂર્વ સભ્યો સન્મુખ પટેલ અને ભાવના મુકેશભાઈ પટેલ સામેલ છે. આરોપી ધર્મેશ પટેલ અને સરપંચ નઝીર મુસ્તફા અવારનવાર તાલુકા પંચાયતમાં આવતા હોય છે. તાલુકા પંચાયત ઓલપાડ પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલ છે તેમ છતાં પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. શ્રી કાંઠા વિભાગ સહકારિ ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, સરસ ગામનાં સભાસદ બ્રિજેશભાઈ ઉર્ફે વિરલભાઈ ગુણવંતભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે વિગતો મુજબ, મંડળીનાં તત્કાલીન એમ.ડી. પ્રદીપકુમાર ગૌતમભાઈ પંડ્યા, ગોડાઉન કીપર પ્રદીપકુમાર ભગુભાઈ પટેલ અને પીપલ્સ બેંકનાં મેનેજર જતીન ઈશ્વરભાઈ નાયકે ગુનાહિત કાવતરું રચીને ખાંડનો ખોટો સ્ટોક બતાવી મંડળીનાં નામે કરોડો રૂપિયાની લોન મેળવી હતી. ગોડાઉનમાં જ્યારે માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડ હતી ત્યારે ચોપડે ૫૯,૪૦૨ ક્વિન્ટલ સ્ટોક બતાવીને પીપલ્સ બેંકમાંથી કુલ ૧૫.૬૫ કરોડની લોન મેળવીને છેતરપિંડી આચરી છે. સભાસદ બ્રિજેશ પટેલની ફરિયાદનાં આ કેસમાં પોલીસ દ્વારા તત્કાલિન એમ.ડી. પ્રદિપ પંડ્યા, પ્રદિપ પટેલ અને જતીન નાયકની ધરપકડ કરવામાં આવી હતી.