લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026 |
792
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગાઉના અહેવાલો બાદ હવે યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે દ્વારા એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી જારી કરવામાં આવી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મૃતકોનોે આંકડો ૧૦,૦૦૦ને પાર થઈ શકે છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ ના જણાવ્યા અનુસાર, વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં માત્ર ૪૦ સેકન્ડના અંતરાલમાં બે પ્રચંડ આંચકા અનુભવાયા હતા. પ્રથમ ૭.૧ની તીવ્રતાનો આંચકો એક ‘ફોરશૉક’ (મુખ્ય ભૂકંપ પહેલાનો ઝટકો) હતો, જેના બરાબર ૪૦ સેકન્ડ બાદ ૭.૫ ની તીવ્રતાનો મુખ્ય પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ મૌન્ટાલ્બાનથી ઉત્તર-પશ્ચિમમાં ૨૮ કિલોમીટર દૂર નોંધાયું છે, જે વિસ્તાર દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓ માટે જાણીતો છે. આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ઘટનાસ્થળથી આશરે ૧,૭૦૦ કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા, જ્યાં પણ સુરક્ષાના ભાગરૂપે અનેક ઇમારતો ખાલી કરાવવી પડી હતી.ભૂકંપ બાદના દ્રશ્યો હૃદયકંપાવી દે તેવા છે.
વેનેઝુએલા પછી જપાનમાં ૬.૯નો શક્તિશાળી ભૂકંપ
વેનેઝુએલામાં ભારે વિનાશ સર્જ્યા પછી, હવે ઉત્તર જપાનમાં ૬.૯ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ ભૂકંપ સેંકડો કિલોમીટર દૂર, રાજધાની ટોક્યોમાં પણ અનુભવાયો હતો. સદનસીબે, અધિકારીઓએ કોઈ જાનહાનિની જાણ કરી નથી. વહીવટીતંત્રે સુનામીની ચેતવણી જારી કરી નથી. હવામાન એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હોન્શુ ટાપુ પર ઇવાટે પ્રીફેક્ચર નજીક ૫૦ કિલોમીટર જમીન નીચે હતું. હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ સલામતીના કારણોસર ઇવાટે પ્રીફેક્ચરમાં શિંકનસેન બુલેટ ટ્રેન સ્થગિત કરાઈ હતી.
ભારત શક્ય તમામ સહાય કરશે: પીએમ મોદી
વેનેઝુએલા ભૂકંપથી થયેલા ભારે વિનાશથી સમગ્ર વિશ્વમાં ચિંતા અને સહાનુભૂતિનો માહોલ છવાઈ ગયો છે. ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે અને વેનેઝુએલા સરકારને શક્ય તમામ સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ વેનેઝુએલામા માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
વેનેઝુએલામાં ભૂકંપથી ઓઇલ રિફાઇનરીમાં લીકેજ:ઓઇલ વિતરણ કેન્દ્રોમાં કામકાજ અટક્યું
વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા ભૂકંપથી માત્ર જાનમાલને જ નુકસાન નથી થયું, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો છે. પ્રારંભિક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ૧૦૦થી લોકોના મોત થયા છે, જ્યારે ૭૦૦થી વધુ ઘાયલ થયા છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપથી ૧૦ હજારથી વધુ લોકોના મોત થવાની આશંકા છે. ભૂકંપના તરત જ બાદ દેશની રિફાઇનરી અને તેની આસપાસના તેલ વિતરણ કેન્દ્રોમાં કામકાજ રોકી દેવામાં આવ્યું છે, જેથી માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાનનું આકલન કરી શકાય. સાથે જ, દેશભરના એરપોર્ટ, મેટ્રો સેવા અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઘણી જગ્યાએ પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. બંને ભૂકંપનું કેન્દ્ર રાજધાની કારાકાસથી લગભગ ૨૯૦ાદ્બ દૂર પશ્ચિમમાં મોરોન શહેર નજીક હતું, જે વેનેઝુએલાના મુખ્ય તેલ અને ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે. અહીં રિફાઇનરીમાં એક ટાંકીમાંથી લીકેજના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ વીડિયો પ્યુઅર્ટો કેબેલો રાજ્યમાં આવેલી અલ પાલિટો રિફાઇનરીના એક ટાંકીનો છે, જેમાં ટાંકી લીકેજ થઈ રહી છે.
ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા!
વેનેઝુએલા અને જાપાનની સાથે-સાથે ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી હચમચી ગઈ હતી. કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ૨ વાગ્યાને ૩૬ મિનિટે ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર, આ ભૂકંપ જમીનથી ૧૫ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. સ્થાનિક સ્તરે લોકોમાં સામાન્ય ફફડાટ ફેલાયો હતો, પરંતુ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલ મળ્યા નથી. ભારતના પાડોશી પર્વતીય દેશ નેપાળમાં પણ ગુરુવારે વહેલી સવારે ભારતીય સમયાનુસાર ૫ વાગ્યાને ૨૧ મિનિટે ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.