અમદાવાદ-

ગુજરાતમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યા છે. વડનગરમાં રેલવે ફાટકની નજીકથી માનવામાં આવી રહ્યું છે કે બીજી સદીના બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા છે. મહેસાણામાં ખનન દરમિયાન આ બુદ્ધ સ્તૂપ મળી આવ્યો છે. રેલ્વે ફાટકની પાસે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન આ ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું. નોંધનીય છે કે આ સ્તૂપ 20 બાય 20 મીટરનો છે.

જે નવા ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યા છે તેમાં સ્તૂપની સાથે સાથે પ્રાર્થનાગૃહ પણ મળી આવ્યું છે. નોંધનીય છે કે વડનગરને બૌદ્ધ સાથે ખૂબ જૂનો નાતો છે અને આ પહેલા પણ ઘાસકોળ દરવાજા પાસે બુદ્ધ સ્તૂપ મળી આવ્યો હતો. એકલા વડનગરની ધરતીમાં જ 10 બુદ્ધ સ્તૂપ ધરબાયેલા હોવાનું અનુમાન છે. રેલ્વે ફાટક પાસેથી મળી આવેલા બૌદ્ધસ્તૂપ પર હવે પુરાતન વિભાગે વધુ સંશોધન હાથ ધર્યું છે. વડનગરને ઐતિહાસિક નગરી માનવામાં આવે છે અને પુરાતન વિભાગને વિવિધ ઉત્ખનનમાં બૌદ્ધ ધર્મને લગતા ઘણા પુરાવા મળી આવ્યા છે. વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા અનુમાન છે કે 10 જેટલા બૌદ્ધસ્તૂપ ધરબાયેલા છે ત્યારે હાલ તો બે સ્તૂપ શોધી કાઢવામાં સફળતા મળી છે.