લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026 |
1980
સોનગઢ નજીક લક્કડકોટમાં આવેલા રોસિયા એડવેન્ચર પાર્ક એન્ડ હિલ રિસોર્ટ તથા જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ભાગીદારો વચ્ચે ડખો થયો હતો. ૧૨.૬૩ કરોડ રોકાણ પરત નહીં કરી છૂટા કરી દેવાયેલા ચાર ભાગીદારીઓએ અન્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અડાજણનાં વાડીયા નગરમાં રહેતા ચંદ્રેશભાઈ જયંતિલાલ લાકડાવાલા શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. તેઓ વર્ષ ૨૦૧૮માં અમેરિકાથી પરત આવ્યા બાદ તેમની ઓળખાણ ખુશમન રેવાશંકર પટેલ, પુનિતાબેન ખુશમન પટેલ તથા સ્મિત ખુશમન પટેલ સાથે થઇ હતી.
પટેલ પિતા પૂત્રએ ચંદ્રેશભાઇને જણાવ્યું હતું કે, તેમણે સોનગઢ નજીક મહારાષ્ટ્રની હદમાં લક્કડકોટ ગામે જમીન ખરીદી છે. ત્યાં તેઓ રિસોર્ટ તેમજ એડવેન્ચર પાર્કનાં પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યા છે. જાે કે પુરતાં નાણાંની સગવડ નહીં થતાં પ્રોજેક્ટ અટકી ગયો છે. જાે તમે અમારા પ્રોજેક્ટમાં ભાગીદાર થશો તો દર મહિને જે કંઇ પણ વેપાર ધંધો થશે તેમાં સરખે હિસ્સે અથવા પાર્ટનર શીપ ડીડ મુજબ નફો ચુકવી આપીશું. ત્યારબાદ ચંદ્રેશભાઇએ તેમના પરિચિત ગૌતમકુમાર જૈન, પરેશ પરમાર અને પ્રવિણ પરમારને આ પ્રોજેક્ટ અંગે વાત કરી અને ડિસેમ્બર-૨૦૧૮માં લક્કડકોટ ખાતેની રિસોર્ટ વાળી જગ્યાએ મિટિંગ કરાઇ હતી.
જેમાં ચંદ્રેશભાઇ અને તેમના મિત્રો ગૌતમ જૈન, પરેશ પરમાર તથા પ્રવિણ પરમાર રોકાણ કરવા તૈયાર થયા હતાં. આ પ્રોજેક્ટનું ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮માં ખાતમુહૂર્ત કરી તેનું નામ રોસિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક અને બાર એન્ડ રેસ્ટોરન્ટનું નામ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ રખાયું હતું. ત્યારબાદ રોસીયા રિસોર્ટ બાબતે થયેલી પાર્ટનરશીપ ડીડમાં ખુશમન રેવાશંકરભાઇ પટેલનાં ૨૦%, પરેશ પટેલ ૧૦%, રોનિશ લાકડાવાલા ૨૦%, ગૌતમ જૈનનાં ૨૨.૫૦%, પ્રવિણ પરમારના ૦૫% અને પરેશ પરમારનો ૨૨.૫૦% ભાગ નક્કી કરાયો હતો. ચંદ્રેશે ૫૦ લાખ રૂપિયા રોકાણ કરી પૂત્ર રોનિશનાં નામે ભાગ રાખ્યો હતો.
એડવેન્ચર પાર્કની બાજુવાળી જગ્યાનાં ભાડે લઇ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરાયો હતો. જમીન માલિક ભરત બાબુરાવ ગાવીત તથા યશવંત બાબુરાવ શિરસાઠ સાથે ભાગીદારી કરાર કરાયો હતો. જેમાં નફામાંથી ૨૦ ટકા ભાગ જમીન માલિકોને આપવાનું નક્કી કરાયું હતું. બાદમાં જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ અને રોસિયા એડવેન્ચર પાર્કનું ઉદઘાટન કરાયું હતું.
આ બંને પ્રોજેક્ટમાં સારો નફો થતાં એડવેન્ચર પાર્કમાં રૂમો બનાવવાનું નક્કી કરાયું હતું. જે માટે રોસિયા હિલ રિસોર્ટ નામથી ભાગીદારી કરાર કરાયો હતો. જેમાં ખુશમન પટેલના ૨૦%, પરેશ રમેશભાઇ પટેલના ૧૦%, ભવ્ય ચંદ્રેશભાઇ લાકડાવાલાનાં ૨૦%, ગૌતમ બાબુલાલ જૈનના ૧૫%, પ્રવિણ પરભુભાઈ પરમાર ૦૫%, મિહિર ચેતનભાઇ પરમારના ૧૫% અને પંકજ જસવંતભાઇ પટેલનાં ૧૫% ભાગ નક્કી કરાયો હતો.
આ ત્રણેય પ્રોજેક્ટ સારા ચાલતા હોવા થતાં જુલાઇ-૨૦૨૫થી નફો કહો કે વળતર મામલે ડખા શરૂ થયા હતાં. વહિવટ કરનારા ખુશમન પટેલ દ્નારા હિસાબ પણ આપવાનો બંધ કરાયો હતો. ધંધામાં થયેલ અંદાજીત ૫.૫૦ કરોડ રૂપિયા નફા બાબતે કોઇ યોગ્ય ઉત્તર પણ અપાયો ન હતો. ત્યારબાદ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટનું નામ બદલીને હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમીટ રૂમ એન્ડ બીયર બાર કરી નવો જી.એસ.ટી. મેળવી લઇ ચંદ્રેશ અને તેમના ભાગીદારોને બહાર કરી દેવાયા હતાં.ચંદ્રેશ લાકડાવાળા અને તેમના ભાગીદારોએ કરેલું ૧૨,૬૩,૧૯,૦૦૦ રૂપિયા રોકાણ ખુશમન પટેલ, પુનિતાબેન ખુશમન પટેલ, સ્મિત ખુશમન પટેલ, ભરત ગાવીત, યશવંત શિરસાઠે પરત નહીં કરી રોસિયા હિલ રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક તથા જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટમાંથી તેમનો અધિકાર પુરો કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોય તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.