લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
1881
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા મોરબીના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું છે. સરકારે ટૂંક સમયમાં ખેડૂતોની માંગણીના ઉકેલ માટે બાંહેધરી આપી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે સરકાર નમતું જાેખવા તૈયાર થઈ છે. આ સંવેદનશીલ પ્રશ્નનો ઝડપી અને સકારાત્મક નિકાલ લાવવા માટે સરકારે ખેડૂત સમિતિના સભ્યોને ઉચ્ચસ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા સત્તાવાર આમંત્રણ આપ્યું છે. ઊર્જા વિભાગના પત્રના આધારે કલેક્ટરે આ જાહેરાત કરી છે, જેમાં સરકારે ખેડૂતોની તમામ ૬ મુખ્ય માંગણીઓ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. ખેડૂતોની અનુકૂળતા મુજબ આ બેઠક મોરબી કલેક્ટર ઓફિસ અથવા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ વિવાદ અંગે મોરબી કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારના વિવિધ સરકારી ઠરાવોનો આધાર લઈને એક ચોક્કસ મુસદો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને ન્યાયિક ઉકેલ લાવી શકાય. સરકાર આ સમસ્યાના કાયમી નિકાલ માટે અત્યંત તત્પર છે. વધુમાં ખેડૂતોનો આક્રોશ શાંત પાડતા કલેક્ટરે મોટો દાવો કર્યો છે કે, જ્યાં સુધી આ વિવાદનો સત્તાવાર ઉકેલ નહીં આવે ત્યાં સુધી વર્તમાન સંજાેગોમાં ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોની તમામ માંગણીઓ સંતોષવા માટે ખાતરી આપવામાં આવી છે. વહીવટી તંત્રના આ હકારાત્મક વલણ અને મંત્રણાના આમંત્રણને પગલે ખેડૂતોમાં પણ આશાની કિરણ જાગી છે. આગામી દિવસોમાં યોજાનારી આ હાઈ-લેવલ બેઠક પર સૌની નજર મંડાયેલી રહેશે. ઊર્જા વિભાગના પત્રના આધારે મોરબીના કલેકટરે ચર્ચા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે.