અમદાવાદ, વર્ષ ૨૦૦૨ ગોધરામાં સાબરમતી ટ્રેન નરસંહાર કેસના આરોપી ફારૂક ભાણાનાના પુત્રના લગ્ન હોવાથી ગુજરાત હાઈકોર્ટે તેના ૨૫મી ડિસેમ્બરથી ૩ સપ્તાહ સુધીના વચગાળા જામીન મંજૂર કર્યા છે.સાબરમતી ટ્રેન નરસંહારના આરોપી ફારૂક ભાણા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી વચગાળા જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેના પુત્રના લગ્ન ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી ૫ જાન્યુઆરી ૨૦૨૧ વચ્ચે હોવાથી તેમને વચગાળા જામીન આપવામાં આવે.કોર્ટે આરોપીના વચગાળા જામીન મંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને હાલ ૪ વર્ષ અને ૪ મહિના સુધી જેલની સજા કાપી છે.અગાઉ આરોપીને જ્યારે પણ વચગાળા જામીન આપવામાં આવ્યા છે, ત્યારે સમયસર સરેન્ડર કર્યું છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે ફારૂક ભાણાના ૩ સપ્તાહના હંગામી જામીન મંજૂર કર્યા છે.હાઈકોર્ટે આરોપીને ૧૦,૦૦૦ રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરવાનો નિર્દેશ કર્યો છે. અમદાવાદ જેલ સત્તાધીશ દ્વારા ૩ જૂન ૨૦૨૦ના રોજ બહાર કોવિડ-૧૯ બચાવને લગતા પરિપત્ર મુજબ આરોપીને તમામ નિયમોનું પાલન કરવું પડશે.ઉલ્લેખનીય છે કે, ફારૂક ભાણા અને ઇમરાન શેરુને આજીવન કેદની સજા ફટકારી હતી.