લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026 |
6633
વેડરોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિને બીજા માળેથી નીચે ફેંક્યા બાદ ગળું કાપી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા પરિણીતાએ કરેલાં ભરપૂર પ્રયાસ ઉપર પોસ્ટમોર્ટમ રીપોર્ટે પાણી ફેરવી દીધું હતું. ચોકબજાર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેડરોડ પર રહેમતનગરમાં રહેતાં ૪૨ વર્ષીય જન્મેજય તીર્થ રાય ગત આઠમી તારીખે મળસ્કે મકાનનાં બીજા માળેથી પડી જતાં મૃત્યુ પામ્યા હતાં. જન્મેજય રાયની પત્ની ચાંદની દ્વારા આવી જાણ કરવામાં આવતાં પીએસઆઇ જે. આર. તિવારીએ સ્થળ પર દોડી જઇ તપાસ આરંભી હતી. સ્થળ પર જરૂરી કાર્યવાહી આટોપી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ કરનાર સ્મીમેરનાં તબીબોએ મૃતદેહનું નિરિક્ષણ કરતાં ગળાનાં ભાગે ઘા દેખાયો હતો. પોસ્ટમોર્ટમમાં ગળાનાં ભાગે ઇજાનાં કારણે થયેલા રક્તસ્ત્રાવ તથા માથામાં માર વાગતાં મગજમાં થયેલા રક્તસ્ત્રાવનાં કારણે રાયનું મોત થયાનું બહાર આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રીપોર્ટનાં કારણે બનાવ અંગે અપાયેલી માહિતી સામે શંકા ઉભી થઇ હતી. જેથી પોલીસે આસપાસનાં સીસી કેમેરા ફૂટેજ મેળવી તપાસ આરંભી હતી. જેમાં જન્મેજયનાં ઘરની આસપાસ બનાવના સમયે એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ બાબતે રાયની પત્ની ચાંદનીને બોલાવી ઉલટ તપાસ શરૂ કરાઇ હતી. જેમાં તેણીએ એવી કબૂલાત કરી હતી કે, સીસી કેમેરામાં દેખાતાં યુવકનું નામ શુલભસિંહ બહાદૂરસિંહ છે. રહેમતનગરમાં જ રહે છે.
ચાંદનીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ છ વર્ષ પહેલા ફૂલવાડી ખાતે ભાડેથી રહેતાં હતા ત્યારે તેમની રૂમની સામે આ શુલભસિંહ તેના મિત્રો સાથે રહેતો હતો. એ સમયથી તેઓ એકબીજાને ઓળખે છે. બે વર્ષ પહેલા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સંબંધ ગાઢ બનતાં તેઓએ સાથે રહેવા જન્મેજયનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.
દરમિયાન સાતમી તારીખે રાત્રે આ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જન્મેજય સૂઈ જતાં એકાદ વાગ્યે ચાંદનીએ પ્રેમી શુલભસિંગને કોલ કરી ઘરે બોલાવ્યો હતો. બાદમાં તેઓએ જન્મેજયને ઉંચકી રૂમની બહાર દાદર પાસે લાવ્યા અને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ આશરે વીસેક મિનિટ પછી ચાંદની દાદર પાસેથી ગેલેરીમાંથી નીચે ગઇ અને ચેક કર્યું તો જન્મેજય શ્વાસ લેતો હતો. આ જોઇ ગભરાયેલી ચાંદની શુલભસિંહનાં ઘરે દોડી ગઇ હતી. મારો પતિ હજી જીવે છે. તે જીવી જશે તો આપણે ફસાઈ જઇશું.
આ વાત સાંભળી શુલભસિંહ તેણી સાથે ગયો અને ધાગા કટીંગની બ્લેડથી જન્મેજયનાં ગળા પર બે કટ મારી દીધા હતા. ગળુ કપાઇ જતા લોહી વહેવા લાગ્યું અને તરફડીયા ખાતા તેણે દમ તોડી દીધો હતો. જન્મેજયને મોતને ઘાટ ઉતારી ચાંદની અને શુલભ પોતપોતાના ઘરે જઈ સૂઈ ગયા હતાં. બાદમાં ચાંદનીએ મળસ્કે પતિ અકસ્માતે નીચે પડી મૃત્યુ પામ્યા હોવાની કાગારોળ મચાવી હતી. તપાસમાં આ હકીકત બહાર આવતાં ચાંદની અને શુલભસિંહ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
પાડોશીનાં પ્રેમમાં ઓળઘોળ થયેલી ચાંદનીએ છ મહિના પ્લાનિંગ કરી પતિને પતાવી દીધો
પોલીસની પૂછપરછમાં ચાંદનીએ તેણે કરેલા જધન્ય કૃત્યને જસ્ટિફાય કરવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેણીએ એવું કહ્યું કે, જન્મેજય રાયે તેણીને રાખી એ પહેલા તેના એક લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે, તેણે આ વાત છૂપાવી રાખી હતી. પતિ કામધંધો કરતો પરંતુ તેણીને પૈસા આપતો ન હતો. અવારનવાર ઝઘડા અને મારપીટ કરતો હતો. પતિનાં આવા વર્તનથી તે કંટાળી હતી એવામાં તેને શુલભસિંહનો ભેટો થઇ ગયો હતો. તેણીને શુલભસિંહ પાસે માનસિક હૂંફ મળવા સાથે શારીરિક જરૂરિયાત પુરી થવા માંડી હતી. પતિ દ્વારા કરાતી મારપીટની વાત ચાંદનીએ પ્રેમી શુલભસિંગને કરતાં તેણે તેને વચ્ચેથી હટાવી દેવા કહ્યું હતું. બાદમાં તેઓ છ મહિનાથી જન્મેજયની હત્યા માટે પ્લાનિંગ કરતા હતા. જન્મેજય ઉંઘે પછી ઉઠતો નથી એવું જાણતી ચાંદનીએ તેને ઊંઘમાં જ પતાવી દેવાની વાત કરી હતી. જન્મેજય ઉંઘે પછી ઘરમાં કોઈ આવે તો તેની તેને જાણ થાય છે કે નહીં એ ચકાસવા ચાંદનીએ ઘણાં પ્રયોગ કરી જોયા હતા. જન્મેજયની ઉંઘ ઉડતી ન હોવાનું કન્ફર્મ કર્યા બાદ તેણીએ પ્રેમીને બોલાવી પતિને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો.