આણંદ-

પેટલાદ ખાતે એક યુવકે સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની વિગતો મળી છે. પત્નીના આપઘાત બાદ ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાત કરી લીધો છે. એવી પણ વિગતો સામે આવી છે કે પત્નીના આપઘાત બાદ યુવકના સાસરી પક્ષના લોકો તેની બંને દીકરીઓને સાથે લઈ ગયા હતા. આપઘાત કરી લેનાર યુવક નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડાએ વર્ષ ૨૦૧૫માં પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં.

આપઘાત કરી લેનાર નિશાંત એમએસડબ્લ્યુ તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે તેની પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આપઘાત પહેલા નિશાંતે જે સુસાઇડ નોટ લખી છે તે ખરેખર હચમચાવી દે તેવી છે. જેમાં નિશાંતે લખ્યું છે કે, 'મારી બંને દીકરીઓ મારી જિંદગી છે. હું મારી પત્ની વગર જીવી શકું તેમ ન હોવાથી તેની પાસે જઈ રહ્યો છું. પત્નીના આપઘાત અને સાસરી પક્ષના લોકો દીકરીઓને લઈ ગયા હોવાથી નિશાંત ડિપ્રેશનમાં આવી ગયાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. પેટલાદ-સુણાવ રોડ પર આવેલી મસીહ સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય નિશાંતે વર્ષ ૨૦૧૫માં પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન જીવનથી નિશાંત અને પ્રિયંકાને બે દીકરી છે, જેની ઉંમર પાંચ વર્ષ અને દોઢ વર્ષ છે. જાેકે, કોઈ કારણસર પ્રિયંકાએ ૧૦મી જુલાઈના રોજ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. જે બાદમાં પ્રિયંકાના પિયરના લોકો તેની બંને દીકરીઓને સાથે લઈ ગયા હતા. પત્નીના આપઘાત અને બંને દીકરીઓને સાસરી પક્ષના લોકો લઈ જતાં નિશાંત ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. જે બાદમાં તેણે પણ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. પત્નીના નિધન બાદ નિશાંતના ઘરે પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. એ જ રાત્રે નિશાંત દુપટ્ટાનો ગાળિયો બનાવી લટકી ગયો હતો. બીજા દિવસે નિશાંત મોડે સુધી નીચે ન આવતા પરિવારના લોકોએ તપાસ કરી હતી. આ દરમિયાન તેણે આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું.