જામનગરની હસતી રમતી આનંદીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026  |   3267

જામનગરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જામનગરના ચાંદી બજારમાં રહેતી ૧૪ વર્ષની આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આનંદી રાજકોટ તેના મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી અને ગઈકાલે અન્ય બાળકો સાથે રમતી વખતે તે અચાનક જમીન પર ઢળી પડી હતી. જે બાદ હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર, જામનગરના ચાંદી બજારમાં રહેતા રાજેશભાઈ મોદીની લાડકવાયી દીકરી આનંદી મોદી (ઉં.વ ૧૪) રાજકોટ પોતાના મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. ગઈકાલે આનંદી મામાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી અને જમીને અન્ય બાળકો સાથે રમવા ગઈ હતી. રમતા-રમતા આનંદી અચાનક જમીન પર ઢળી પડી હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે ડોક્ટર્સની ટીમે આનંદીની તપાસ શરૂ કરી હતી, જે બાદ ડોક્ટર્સે આનંદીને મૃત જાહેર કરી હતી. ડોક્ટર્સની પ્રાથમિક તપાસમાં આનંદીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આનંદીના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. આનંદીના મામા ગોપાલભાઈએ કહ્યું કે, ‘અત્યારે પવિત્ર પરસોત્તમ મહિનો ચાલી રહ્યો હોવાથી અમે બધી બહેનોનો અને ભાઈ પરિવારનો જમણવાર રાખ્યો હતો. સદભાવના વૃદ્ધાશ્રમમાં પહેલા બધા વૃદ્ધોને જમાડ્યા પછી અનંતા રિસોર્ટ ખાતે અમારા પરિવારનો જમણવાર હતો, ત્યાં અમે પહોંચ્યા હતા. જમીને અમે બધા બેઠાં હતા, છોકરાઓ રમતા હતા. આ દરમિયાન આનંદી રમતા-રમતા ઢળી પડી હતી, જેથી અમે તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution