પતિ સાથે વારંવારના ઝઘડાથી ત્રાસી પરિણીતાનો આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, જુલાઈ 2025  |   9801

સુરત, મૂળ પાટણના વતની મુકેશભાઈ ઠાકોર હાલમાં ઉત્રાણ ખાતે આવેલા સાહિલ ક્રિષ્ના ડાયમંડ ઉમરાગામ ખાતે રહેતા હતા, અને ડાયમંડ પેઢીમાં નોકરી કરી પત્ની લીલાબેન સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મુકેશભાઈની પત્ની લીલાબેનને ગત તારીખ ૪ જુલાઈના રોજ બપોરના સમયે પોતાના ઘરમાં એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારજનો તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન લીલાબેનનું ગત શનિવારના રોજ સાંજે મોત નિપજ્યું હતું. લીલાબેનનો કોઈક ને કોઈક બાબતે તેમના પતિ સાથે ઝઘડો હતો, જેનાથી કંટાળીને તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. આપઘાતના બનાવ અંગે ઉત્રાણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

હજીરાની એએમ/એનએસ કંપનીમાં કર્મચારીનું બેભાન થયા બાદ મોત

સુરત સુરત શહેરમાં આવેલા હજીરા વિસ્તારમાં એલએન્ડટી કોલોનીમાં રહેતો એએમ/એનએસ કંપનીના કર્મચારીનું રાતપાળીમાં ચાલુ નોકરીએ બેભાન થયા બાદ મોત થયું હતું પ્રાપ્ત મહિતી અનુસાર મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલમાં હજીરા વિસ્તારમાં આવેલ એલએન્ડટી કોલોનમાં રહેતા ૨૫ વર્ષીય ધુપસાગર હીરાલાલ શાહ એએમ/એનએસ કંપનીમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. શનિવારે ધૂપ કંપનીમાં નાઇટપાળી હોવાથી તે નોકરી પર ગયો હતો. દરમિયાન શૌચાલય કરવા માટે કંપનીના બાથરૂમમાં ગયો હતો. જ્યાં તે એકાએક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી સાથી કામદારો તેને પ્રાથમિક સારવાર માટે એએમ/એનએસ કંપનીમાં લઈ ગયા હતા .ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ધૂપસાગરનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની શક્યતા છે. આ બનાવ અંગે હજીરા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

વરાછામાં ધોરણ ૧૦ની વિર્દ્યાથિનીનો ફાંસો ખાઈ આપઘાત

સુરત મુળ મહારાષ્ટ્રની વતની ૧૬ વર્ષીય પૂજા કિરણ સૂર્યવંશી હાલમાં પુણાગામ ખાતે આવેલા બોમ્બે માર્કેટ પાસેના એસએમસી ટેનામેન્ટમાં મોટા પપ્પા, માતા અને ભાઈ સાથે રહેતી હતી, અને સાગર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરી હતી. વિર્દ્યાથિનીની પૂજાએ ગત શનિવારે સાંજે પોતાના ઘરમાં છતાંના પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પૂજાને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારજનો સ્તબ્ધ રહી ગયા હતા. તેણીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે રહસ્ય સર્જાયું છે. આપઘાતના બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution