લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુન 2026 |
2277
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે ગો ગેસ નામની એજંસીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યા બાદ બ્લાસ્ટ પણ થયો હતો. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી છે. આગ લાગી તે ગો ગેસ નામની ગેસની એજન્સી હતી અને તેની બાજુમાં ટ્રાવેલ્સની પણ ઓફિસ આવેલી હતી. જેમાં બેથી ત્રણ લોકો હતા તેઓ તાત્કાલિક દોડીને ગયા હતા અને તેમની બાજુની દુકાનમાં પણ નાનું મોટું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ શહેરના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી એક ગેસની એજન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો લીકેજ થયો હોવાના કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ત્રણથી વધારે ગાડીઓ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લઈ લીધી છે. ગેસની એજન્સી હોવાના કારણે કોમર્શિયલ અને રહેણાંક એમ બંને ઉપયોગના ૬૦થી ૭૦ જેટલા બાટલા હોવાનું સામે આવ્યું છે. જે તમામ બાટલાઓ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને તેના પર પાણી છાંટવામાં આવ્યું છે. આસ્ટોડિયા દરવાજાથી ગીતામંદિર બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ ઉપર આવેલી ગેસ એજન્સીમાં આગ લાગતા આસ્ટોડીયા તરફથી બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આગ એટલી વિકરાળ સ્વરૂપે લાગી હતી કે લોકો રોડ ઉપરથી દૂર થઈ ગયા હતા. ગેસના બાટલા ફાટ્યા હોવાના કારણે આગ લાગી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા સંપૂર્ણપણે રોડ બંધ કરાવીને બાટલા બહાર કાઢી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ગેસ એજન્સીના આકાશ ભાવસાર સહિતના બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા આગ કેવી રીતે લાગી અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમ જ ગેસ એજન્સી પાસે લાઇસન્સ તેમજ કોઈ મંજૂરી હતી કે કેમ તે અંગેની પૂછપરછ કરી માહિતી મેળવી હતી. મેયર હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, ગીતામંદિર આરોગ્ય ભવનની સામે આવેલી ગેસ એજન્સીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નાનો ગેસનો બાટલો ફાટવાના કારણે આગ લાગેલી હતી ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું કે કેમ તે અંગે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ચીફ ફાયર ઓફિસર એ કે ડોંગરે જણાવ્યું હતું કે, સાંજે ૪.૪૦ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. બે લોકોને ઈજા થઈ જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એલપીજી ગેસના કોમર્શિયલ અને ઘરેલુ બાટલા હતા જેમાં આગ લાગી હતી. બાજુમાં આવેલી એક દુકાનમાં પણ મોટા પ્રમાણમાં બાટલા રાખવામાં આવેલા હતા જે તમામ બાટલાઓને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. અંદાજે ૧૧૦ જેટલા બાટલાઓ મળી આવ્યા છે. ગેસ રીફીલિંગ અને સ્ટોરેજ રાખેલું અહીંયા જાેવા મળ્યું છે. ફાયર બ્રિગેડના નિયમ મુજબ એજન્સીમાં ભરેલા બાટલા હોવા જાેઈએ નહીં પરંતુ અહીંયા ભરેલા બાટલા હતા અને સ્ટોરેજ પણ દૂર રાખવાનું હોય છે પરંતુ એક જ દુકાનમાં સ્ટોરેજ રાખવામાં આવ્યું હતું. ઝોન ૬ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ગેસ એજન્સીના માલિક સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગ લાગવા અંગેનું કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવી છે. પોલીસ ફાયર બ્રિગેડ અને ઇલેક્ટ્રીક વિભાગ સાથે મળી અને સંપૂર્ણપણે તપાસ કરશે. અત્યારે હાલમાં જાણવા જાેગ લઈ અને તપાસ કરવામાં આવશે. ખરેખર આગ કેવી રીતે લાગી હતી. ઇલેક્ટ્રીક સર્ટિ હતું કે અન્ય કોઈ કારણ હતું વગેરે અંગે તપાસ કરવામાં આવશે.