લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026 |
2871
મ્યુનિસિપલ કમિશનરનાં નબળાં હૃદયે વિવાદનો ભાર નહીં ઝીલતાં ૧૨ વર્ષે બાવો બોલે કહેવતને દિવસોમાં ફેરવીને માત્ર ૧૨ દિવસમાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનનાં કૌભાંડ ઉપર સત્તાવાર મ્હોર મારતો ખુલાસો કરી નાંખ્યો. વિવાદની વિગતો ગાંધીનગર અને દિલ્હી દરબાર સુધી પહોંચતાં કમિશનરે એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકનાં ખભે બંદૂક મૂકીને ફોડી તો નાંખી પણ માત્ર પાંચ કલાકમાં જ વિવાદની આગ જંગલની આગ જેમ ફરી વળતાં કમિશનર એમ.નાગરાજને યુ ટર્ન લઇને ડીમોલિશન કોણે કર્યું તેની ખબર જ નહીં હોવાનું નિવેદન આપીને એડિશનલ સિટી ઇજનેરને ખોટા ઠેરવતાં વધુ એક વિવાદે જન્મ લીધો છે. આશિષ નાયકે કમિશનરનાં આદેશથી જ ડીમોલિશનની કાર્યવાહી કાયદેસર નિયમાનુસાર કરવામાં આવી હોવાનું કહ્યું પરંતુ પાંચ કલાકમાં એવું તો શું બની ગયું, કોનો ફોન આવ્યો, કોનો આદેશ આવ્યો કે કમિશનરે શિર્ષાસન કરવાની ફરજ પડી. બિલ્ડરનાં લાભ માટે કરવામાં આવેલાં ડીમોલિશનનાં કૌભાંડને કાયદેસરતાનું સ્વરૂપ આપી સુરત મહાનગર પાલિકાની ટીમે જ કાર્યવાહી કરી હોવાની જાહેરાત કરીને ૧૨ દિવસથી સળગતો મામલો શાંત પાડવાનાં કરેલાં ર્નિલજ્જ પ્રયાસો કમિશનરનાં નિવેદન પછી એળે ગયાં હોવાનું સ્પષ્ટપણે જણાય છે.
નાસિરનગરનું ડીમોલિશન થયું તેનાં ૧૧ દિવસ સુધી મ્યુનિસિપલ કમિશનર કે તેમનાં અધિકારીએ જવાબદારી માથે લીધી નહીં અને મોઢુ છુપાવતા ફરતાં હતાં અને અચાનક ૧૨માં દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવાને બદલે માત્ર એડિશનલ સિટી ઇજનેરનો વિડિયો જાહેર કરી મનપા ટીમે કાર્યવાહી કરી હોવાનું સ્વીકાર્યું તે સંદેહજનક તો છે જ. મનપાની ટીમ ડીમાર્કેશન અને રસ્તો ખુલ્લો કરવા ગઇ હતી અને તે બાબતની કાર્યવાહી કાયદાનુસાર, નિયમાનુસાર મનપાનાં હકમાં કરવામાં કરવામાં આવી હતી અને તે સંપૂર્ણ અધિકૃત હતી. એ કંઇ ભૂતિયા ડીમોલિશન ન્હોતું પરંતુ કાયદાકીય પ્રક્રિયાનાં ભાગરૂપે થયેલી કાર્યવાહી હોવાનો સત્તાવાર ખુલાસો એડિશનલ સિટી ઇજનેરે તો કર્યો પરંતુ જેને માટે ઝૂંપડા તોડી પડાયા તે ગેરકાયદે બાંધકામ તોડવાની હિંમત નથી દાખવાઇ તેને કારણે સમગ્ર પ્રકરણમાં શાહમૃગ નીતિ અખત્યાર કરી બેઠેલાં મ્યુનિસિપલ કમિશનરની ઇમેજ વધુ ખરડાઇ છે. આમ તો શહેરમાં હજારો ગેરકાયદે બાંધકામો ઉભાં થઇ ગયા છે તે તોડવાની હિંમત એક પણ કમિશનરે આજ દિન સુધી દાખવી નથી પરંતુ બિલ્ડરનાં લાભમાં ગરીબોનાં ઝૂંપડા તોડવામાં સ્હેજપણ વિલંબ દાખવ્યો નથી ત્યારે આ ઝૂંપડાઓની બાજુમાં બિલ્ડર બાંધી રહ્યો છે તે ગેરકાયદે બાંધકામ તોડવાની હિંમત કમિશનર એમ.નાગરાજન દાખવીને ઇમેજ સુધારે તે ઇચ્છનીય છે. હવે વાત રહી તપાસ સમિતિની, કમિશનરે નાસિરનગરનાં ડીમોલિશનમાં કંઇક ખોટુ થયું હોવાનાં વિવાદને પગલે તપાસ સમિતિ બનાવી દીધી પણ સેન્ટ્રલ ઝોનનાં વડા આશિષ નાયકે તો ડીમોલિશન મનપાનું હતું અને તે કાયદેસર હતું તેમ કહીને વટાણાં વેરી નાંખ્યા તો ખુદ કમિશનરે ડીમોલિશન મનપાએ નહીં કહ્યું હોવાનું કહીને રહસ્ય વધારે ઘેરૂ બનાવ્યું છે ત્યારે હવે તપાસ સમિતિ શેની તપાસ કરશે તે સવાલ ઉભો છે. સમગ્ર પ્રકરણમાં એક વાત ચોક્કસ બહાર આવી છે કે, પોલીસની જેમ મહાનગર પાલિકાનાં અધિકારીઓ પણ માલેતુજારો માટે જ કામ કરે છે.
અહિંયા વાત માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ભ્રષ્ટ અધિકારીઓ પુરતી સીમિત નથી, પોલીસ તંત્રનાં અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવવામાં માહિર છે. નાસિરનગરનાં ૧૦૦થી વધારે ગરીબ પરિવારોને ચોમાસા ટાંકણે બેઘર કરવામાં શહેર પોલીસ તંત્રનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ કમિશનર નકુમ, પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અને તેમની ટીમે ભજવેલી ભૂમિકા શંકાથી પર નથી જ. માત્ર નાસિરનગરનાં સાત અસામાજિક તત્વોની યાદી જાહેર કરવાથી એસ.ઓ.જી.નાં પાપ ધોવાઇ નથી જવાના. પાંચ કલાક સુધી ડીમોલિશનની કામગીરીને પ્રોટેક્શન કેમ આપ્યું તે સવાલ પોલીસ કમિશનર અને રાજ્ય સરકારે પુછવો જાેઇએ.