ઓમાનના દરિયાકાંઠા પાસે ઈરાનના હુમલામાં વધુ એક ભારતીયનું મોત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026  |   2673

હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનના દરિયાકાંઠા પાસે ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘાતક સૈન્ય હુમલામાં વધુ એક ભારતીય નાવિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાયપ્રસનો ધ્વજ ધરાવતા વ્યાપારી જહાજ ‘GFX Galaxy’  પર થયેલા આ હુમલામાં પુણેના મરીન એન્જિનિયર હેરંબ કરમરકરનું મોત નીપજ્યું છે. મૃત્યુના ગણતરીના સમય પહેલાં જ હેરંબે પોતાના પરિવારને વોટ્સએપ પર મેસેજ મોકલીને પોતે સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ગયા હોવાની માહિતી આપી હતી, જે તેમની અંતિમ વાતચીત સાબિત થઈ હતી. ભારતે નવી દિલ્હીમાં ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને સમન્સ પાઠવીને આકરો વિરોધ નોંધાવ્યો છે.મૂળ પુણેના વતની અને વ્યવસાયે મરીન એન્જિનિયર હેરંબ કરમરકરે હુમલાના થોડા સમય પહેલાં જ પોતાના પરિવારને મેસેજ મોકલ્યો હતો કે, તેમના જહાજે હોર્મુઝ જળમાર્ગને અત્યંત સુરક્ષિત રીતે પાર કરી લીધો છે. પરિવાર હજુ આ મેસેજ વાંચીને રાહતનો શ્વાસ લે, તે પહેલાં જ ઈરાની હુમલામાં હેરંબના મોતના સમાચાર મળ્યા હતા. હેરંબના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. હેરંબના સસરાએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેમના જમાઈના પાર્થિવ દેહને વહેલી તકે સન્માનપૂર્વક ભારત લાવવામાં આવે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મર્ચન્ટ જહાજ પર અનેક ભારતીય નાવિકો સવાર હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution