વડોદરા : વડોદરા શહેરના છેવાડે આજવા-નિમેટા રોડ પર આવેલા પાયોનિયર મેડિકલ અને પેરામેડિકલ કેમ્પસ હોસ્પિટલમાં કોરોના વ્યાયના કારણે સરકાર દ્વારા કેટલીક નિઃશુલ્ક ફ્રી બેડની ઉપલબ્ધ કરાવ્યા છે. જે અંતર્ગત મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાંથી કોવિડના કેટલાક દર્દીઓને પાયોનિયર કેમ્પસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. પરંતુ સયાજી હોસ્પિટલમાંથી રીફર કરવામાં આવેલા દર્દીઓની હોસ્પિટલના સ્ટાફ કર્મચારીઓ દ્વારા યોગ્ય રીતે સાર સંભાળ તથા સારવાર કરવામાં આવતી ન હોવાથી ગંભીર આક્ષેપો સાથે દાખલ દર્દીઓના સગાઓએ હોસ્પિટલના કોવિડ સેન્ટર બહાર હોબાળો મચાવ્યો હતો.

હાલ વડોદરા શહેર જિલ્લામાં કોરોનાનું ભારે વાવાઝોડું ફુંકાયું છે. જીવલેણ કોરોનામા શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સપડાઇ રહ્યા છે ત્યારે કોરોનાની સારવાર માટે દર્દીઓ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં આવી રહ્યા છે. ખાસ કરીને મોટાભાગના લોકો કોરોનાની મોંઘી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં હોવાથી સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ઘસારો વધુ જાેવા મળે છે ત્યારે ખાસ કેઝયુટીમાં આવી રહેલા દર્દીના ઘસારાને પહોંચી વળવા માટે ખાસ ફરજ પરના અધિકારીએ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં સરકારી રાહે ફ્રી બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ખાનગી હોસ્પિટલો પૈકી આજવા નિમેટા રોડ પર આવેલ પાયોનિયર મેડિકલ અને પેરામેડિકલ કેમ્પસ હોસ્પિટલનો પણ સમાવેશ થયો છે. જેના અંતર્ગત સયાજી હોસ્પિટલમાં દાખલ કેટલાક રીકવર થયેલા દર્દીઓને પાયોનિયર કેમ્પસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં દાખલ કર્યા બાદ દર્દીઓની હાલત વધુ ગંભીર બનતાં મોતને ભેટતાં દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને આક્રોશ સાથે હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારી તેમજ લાલીયાવાડી ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતાં.

રીફર કરાયેલા દર્દીઓના પાયોનિયર હોસ્પિટલમાં મોત થતા હોબાળો

ન્યુ સમા રોડ સ્થિત આસીયાના સોસાયટીમાં રહેતાં ૭૬ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા બાદ તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તે બાદ પાયોનિયર હોસ્પિટલ ખાતે મંગળવારે આજે રીફર કરવામાં આવ્યા હતાં. વૃદ્ધ દર્દીને પાયોનિયરમા દાખલ કર્યા બાદ, તબિબ સ્ટાફે સારવાર અંગેની યોગ્ય કાળજી ન રાખતાં દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દર્દીના સગાને દર્દીની સારી માહિતી આપવામાં ગલ્લા તલ્લા કરતા ગણતરીના કલાકોમાં જ વૃદ્ધ દર્દીને મૃત જાહેર કરતા પુત્રીએ પિતાના મૃત્યુના સમાચાર સાંભળતાં જ તબિબ સ્ટાફ વિરૂદ્ધ સારવારની વિગતો છુપાવી હોવાના ગંભીર આક્ષેપો સાથે પિતાને મારી નાખવામાં આવ્યા હોવાનું જણાવી ગેટની બહાર હોબાળો મચાવ્યો હતો..

દર્દીનો મોબાઇલ તથા કપડાની ચોરી થયાના આક્ષેપ

સમા વિસ્તારમાં આવેલ જ્યોતિ પાર્કમાં રહેતા ૬૦ વર્ષિય મહિલા દર્દીને સારવાર દરમિયાન તબિયતમાં સુધારો થતાં તેણીને પાયોનિયરમાં રીફર કરવામાં આવ્યા હતાં. જેથી માતા સાથે વાતચીત થઇ શકે તે માટે સાદો મોબાઇલ ફોન, ચાર્જર તથા કપડા પુત્ર સચિનભાઇ પટેલે મોકલાવ્યા હતાં. પરંતુ એ મોબાઇલ ફોન ચાર્જર તથા કપડા માતાને પહોંચ્યા ન હતાં. અને તપાસ કરતા હોસ્પિટલના ફરજ પરના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા ન હતાં. અલબત ગાયબ થઇ ગયા હતાં.