લોકોએ હજી અઠવાડિયા જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2026  |   5643

રાજ્યમાં હાલમાં ૨૨ જૂન સુધી ચોમાસાની આશા નહીવત્ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધ્યું હોવા છતાં હજી પણ ગુજરાત સુધી પહોંચતા આ આખુ અઠવાડિયુ ખમૈયા કરે તેવી પ્રબળ સંભાવના છે. ગુજરાત તરફ આગળ વધવાની તેની ગતિ હાલમાં ધીમી પડી છે. આના લીધે રાજ્યમાં ગરમી અને ઉકળાટથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. લોકોએ હજી અઠવાડિયા જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે તેમ હવામાન ખાતુ કહે છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ૩૯થી ૪૧ ડિગ્રીની વચ્ચે રહેશે. અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ૩૮.૬, સુરતમાં ૩૫.૨, રાજકોટમાં ૩૯.૭, અમરેલીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં સૌથી વધુ ૪૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હાલમાં ઉપરના વાતાવરણમાં સૂકા અને ગરમ ઉત્તર-પશ્ચિમી પવનો સક્રિય હોવાના કારણે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોને મોટો અવરોધ નડી રહ્યો છે. તેના લીધે રાજ્યમાં ચોમાસાની આગેકૂચમાં વિલંબ સર્જાયો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પ્રતિ કલાક ૫૦થી ૫૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. તેની સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૨૦થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution