લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2026 |
2277
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રામરહીમના ટેકરો નગીના મસ્જીદ સામે ઢોરબજારના કોટને અડીને આવેલા ગેરકાયદેસર કતલખાનાને મ્યુનિસિપલ કોર્પોરેશન અને દાણીલીમડા પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને તોડી પાડવામાં આવ્યું છે. દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સમીર ખોખર અને શાહરુખ કુરેશી દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી તે સ્થળનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પશુ કતલ કરવા માટે કરતા હતા. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ આવે તેના માટે પોલીસ તથા સંબંધિત મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી આજે કરવામાં આવી છે.દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ સી.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ત્યાં ગેરકાયદેસર પશુ કતલ કરવાની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસ તથા સંબંધિત મ્યુનિસિપલ તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સમીર ઉર્ફે ૫મો સાબીરભાઇ ખોખર (રહે. રામરહીમનો ટેકરો બહેરામપુરા દાણીલીમડા) અને શાહરૂખ સબીરભાઇ કુરેશી (રહે. નગીના મસ્જીદ પાસે રામરહીમનો ટેકરો દાણીલીમડા) દ્વારા રામરહીમના ટેકરો નગીના મસ્જીદ સામે ઢોરબજારના કોટને અડીને ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી તે સ્થળનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પશુ કતલ કરવા માટે કરતા હતા.