મુબંઇ-

એનસીપીના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે વડાપ્રધાનને પત્ર લખીને એવી વિનંતી કરી હતી કે સહકારી બેંકોનું ખાનગીકરણ ન કરશો, પ્લીઝ... આ બેંકો ગામડાંના મજૂરો અને ખેડુતેાને સહાય કરે છે.

છેલ્લા થોડા સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બેંકોનું વિલીનીકરણ અને ખાનગીકરણ કરી રહી હતી. એ સંદર્ભમાં શરદ પવારે આ પત્ર લખ્યો હતો. પવારે એવી દલીલ કરી હતી કે સહકારી બેંકો દેશનાં ગામડાંઓની કરોડરજ્જુ સમાન હતી એટલે એમની હાલની સ્થિતિ યથાવત્‌ રાખવી ઘટે છે. ઉપરાંત સહકારી બેંકો ગ્રામ વિસ્તારોમાં બેંકિંગ સાક્ષરતા વધારી રહી હતી એટલે કે ગ્રામ વિસ્તારોના લોકોને બેંકોનો લાભ સમજાવવાની પ્રક્રિયા આવી સહકારી બેંકો કરતી રહી હતી.

પંદરમી ઑગષ્ટે પોતાના રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં વડા પ્રધાને કહ્યુ હતું કે સહકારી બેંકોને પણ રિઝર્વ બેંકની નજર હેઠળ લાવવામાં આવી રહી હતી. એ સંદર્ભમાં પવારે લખ્યું હતું કે સહકારી બેંકોમાં પણ નાણાંકીય શિસ્ત રહેવું જાેઇએ એવું સરકારી વલણ પ્રશંસાને પાત્ર છે પરંતુ સહકારી બેંકોના હાલના માળખાને તેમજ ચરિત્રને યથાવત્‌ રાખવામાં આવે એ ઇચ્છનીય છે.

રિઝર્વ બેંક સહકારી બેંકો પર એકસો ટકા નિયંત્રણ રાખે એ યોગ્ય નથી. પવારે લખ્યું હતું કે સહકારી બેંકો ખેતમજૂરો, ખેડૂતો અને ગામડાંની પ્રજા માટે વરદાનરૂપ છે.

દેશનાં સેંકડો ગામડાંના આર્થિક વ્યવહારો સહકારી બેંકો દ્વારા થતા રહ્યા છે અને એ રીતે ગ્રામીણ અર્થતંત્રને જીવંત રાખવામાં સહકારી બેંકો બહુ મૂલ્યવાન ફાળો આપે છે. સહકારી બેંકોનું ખાનગીકરણ ન કરવાની પવારે વડા પ્રધાનને વિનંતી કરી હતી.

તેમણે એવી દલીલ કરી હતી કે સહકારી બેંકોનું પ્રાઇવેટાઇઝેશન કરવાથી નાણાંની ગેરરીતિ રાતોરાત અટકી જશે એવી માન્યતા સાચી નથી. પવારે રિઝર્વ બેંકના આંકડા ટાંકીને કહ્યુ હતું કે 2019-20માં સૌથી ઓછી આર્થિક ગેરરીતિ સહકારી બેંકોમાં થઇ હોવાનું ખુદ રિઝર્વ બેંક કહે છે.