આ દેશમાં સોશિયલ મીડિયા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દેવાયો, જાણો કેમ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2021  |   1485

ઈસ્લામાબાદ-

પાકિસ્તાને શુક્રવારે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફેસબુક, ટ્વિટર, ટિકટોક, વ્હોટ્સએપ અને યુટ્યુબ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. બપોરનાં 4 વાગ્યા પછીથી, આ સેવાઓ પહેલાની જેમ ફરીથી કામ કરવાનું શરૂ કરશે.દેશમાં આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકારે આ નિર્ણય લીધો હોવાનુ સામે આવી રહ્યુ છે. તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન પર પ્રતિબંધ લગવવાનાં એક દિવસ બાદ ઇમરાન સરકારે આ પગલું ભર્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ તમામ ટીવી ચેનલો પર પ્રતિબંધિત સંગઠનનાં કોઈપણ કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષા દળોને ડર છે કે શુક્રવારની નમાઝ બાદ TLP દેશભરમાં ભારે હિંસક વિરોધ પ્રદર્શન કરી શકે છે. જણાવી દઇએ કે, ઇમરાન ખાનની સરકાર દેશનાં કટ્ટરપંથીઓ સામે ઘૂંટણીયે આવી ગઇ છે. સોશિયલ મીડિયા પર આવા અનેકો વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની પોલીસ એક ધમાલ મચાવનાર ટોળાને શરણે થઇ જતી દેખાઇ રહી છે. હિંસાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં લાહોર, કરાચી અને ઇસ્લામાબાદ શામેલ છે. હિંસક વિરોધ પ્રદર્શન કરનાર કટ્ટરપંથી સંગઠન તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) નાં વડા સાદ રિઝવીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution