રાજકોટ, ગરબા રસિકો આખું વર્ષ જેની કાગડોળે રાહ જાેતાં હોય છે તે નવલા નોરતાંને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. આગામી ૭ ઑક્ટોબરથી શરૂ થઈ રહેલા આ પર્વમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શેરી ગરબાઓ અને અર્વાચીન ગરબા મહોત્સવના અનેક આયોજન થતાં હોય છે. જાે કે છેલ્લા બે વર્ષથી કોરોના નામના રાક્ષસે રાજ્યમાં પગ જમાવી નાખતાં આયોજન થઈ શક્યા નહોતા, પરંતુ હવે આ રાક્ષસ પાછળ હટી રહ્યો હોય રાસોત્સવ ગરબા થવાની આશા ઉજળી જાેવા મળી રહી છે, જાણવા મળ્યા પ્રમાણે શેરી ગરબાઓને મંજૂરી મળે તેવી પૂરી સંભાવના છે, પરંતુ અર્વાચીન ગરબા મહોત્સવ માટે હજુ પણ સરકાર ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી શકે છે.આ અંગે જાણવા મળ્યા પ્રમાણે સરકાર દ્વારા શેરી-ગલીઓમાં યોજાતાં ગરબા ઉપરાંત સોસાયટીઓમાં મર્યાદિત લોકો માટે યોજાતાં ગરબાને મંજૂરી આપવામાં આવશે પરંતુ અર્વાચીન ગરબા મહોત્સવ કે જ્યાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ એકઠા થતાં હોય છે તેને પરવાનગી આપવી કે નહીં તેને લઈને ભારે ગડમથલ ચાલી રહી છે.
Loading ...