કોરોનામાં મૃત્યુ થનાર કર્મચારીને ટાટા મોટર્સ આપશે નિવૃત્તિ અવધિ સુધી અડધો પગાર 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2021  |   1188

નવી દિલ્હી

ટાટા મોટર્સે કોવિડ -19 વાયરસના કારણે મૃત્યુ પામેલા તેના કર્મચારીઓના સંબંધીઓને દર મહિને બેઝિક સેલેરીના 50% ચૂકવવાની જાહેરાત કરી છે. આ ચુકવણી મૃત કર્મચારીની નિવૃત્તિ અવધિ સુધી કરવામાં આવશે.

કંપનીએ કહ્યું છે કે આ ભથ્થા કર્મચારીના સબંધીઓને તાત્કાલિક આર્થિક રાહત ઉપરાંત આપવામાં આવશે. ટાટા મોટર્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પીબી બાલાજી એ કહ્યું છે કે મૃતકના પરિવારને 20 મહિનાના બેઝિક સેલેરીની એકસાથે ચુકવણી કરવામાં આવશે પછી ભલે તેના કર્મચારીનું મૃત્યુ કોવિડ -19 માં થયું હોય કે નહીં.

બાલાજીએ જણાવ્યું હતું કે મૃતક કર્મચારીની નિવૃત્તિ અવધિ સુધી 50% બેઝિક સેલેરી દર મહિને તેના પરિવારને ભથ્થા તરીકે આપવામાં આવશે. વર્ષ 2020 માં રોગચાળો શરૂ થયો ત્યારથી કોવિડ -19 ને કારણે ટાટા મોટર્સના 47 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સ ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રે સૌથી મોટા રોજગારદાતાઓ પૈકીના એક છે જે ભારતભરમાં ઘણા પ્લાન્ટ ચલાવે છે. કંપની કાર, સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો, મિની ટ્રક, વાન, ટ્રક અને બસોનું ઉત્પાદન કરે છે.

કંપનીના CFO પી.બી. બાલાજીએ માર્ચ 2021 ના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાના અવસરે જણાવ્યું હતું કે હાલમાં 45 વર્ષથી ઉપરના અમારા 90 ટકા કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી છે. અમે અમારા કર્મચારીઓની તબીબી સંભાળ પણ આપી રહ્યા છીએ. કર્મચારીઓ અને તેમના આશ્રિતો માટે વીમા યોજના પણ પૂરી પાડી છે. ટાટા મોટર્સ એ કેટલીક એવી કંપનીઓ પૈકીની એક છે કે જેમણે તેના મૃત કર્મચારીઓના પરિવારો માટે કર્મચારી કેન્દ્રિત કોવિડ -19 નાણાકીય લાભ યોજના લાગુ કરી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution