એરપોર્ટ મેટ્રો રૂટને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુન 2026  |   2475

અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ જેવા રમતોત્સવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના કોટેશ્વર રોડથી અમદાવાદ એરપોર્ટ સુધીના ફેઝ-૨(એ) રૂટને બહાલી આપવામાં આવી છે. રૂ.૨,૧૬૮.૦૪ કરોડના ખર્ચે તૈયાર થનાર આ મેટ્રો રૂટ ૬.૦૩ કિમીનો રહેશે અને ચાર એલિવેટેડ અને એક અન્ડર ગ્રાઉન્ડ સહીત કુલ પાંચ સ્ટેશન બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કોટેશ્વર રોડથી અમદાવાદ એરપોર્ટ સુધીના ફેઝ ૨(એ) ને મંજૂરી આપી દીધી છે. આ રૂટમાં ૪ એલિવેટેડ અને ૧ અંડરગ્રાઉન્ડ સહિત કુલ ૫ સ્ટેશનો સાથે ૬.૦૩૨ કિમીની લંબાઈનો કોરિડોર ધરાવે છે. ફેઝ ૨(એ) કાર્યરત થયા બાદ અમદાવાદ-ગાંધીનગર પાસે ૭૭.૬૩ કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ ૨(એ) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ (આસારામ આશ્રમ) રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે. આ પ્રોજેક્ટ માટે આઈડીસી (બાંધકામ દરમિયાન વ્યાજ) સહિતનો કુલ પૂર્ણતા ખર્ચ રૂપિયા ૨,૧૬૮.૦૪ કરોડ થશે તેવો અંદાજ રખાયો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ૨(એ)માં આશરે ૬.૦૩૨ કિમીના નવા મેટ્રો કોરિડોરનો ઉદ્દેશ્ય એરપોર્ટ સુધી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને અને હાલમાં કાર્યક્ષમ પરિવહન સુવિધાનો અભાવ ધરાવતા મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જાેડીને જાહેર પરિવહનને નોંધપાત્ર રીતે વધારવાનો છે. આ તબક્કાનો ઉદ્દેશ્ય હાલના અમદાવાદ-ગાંધીનગર કોરિડોર સાથે રહેણાંક અને વ્યાપારી હબ સહિતના મુખ્ય વિસ્તારોને સીમલેસ રીતે સંકલિત કરવાનો છે. વધુમાં, વર્લ્ડ પોલીસ ગેમ્સ ૨૦૨૯ અને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે આસપાસના વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવે તેવી શક્યતા છે. આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જાેડીને, ફેઝ ૨(એ) માત્ર કનેક્ટિવિટીમાં જ વધારો નહીં કરે પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને સ્થાનિક રહેવાસીઓ તેમજ મુલાકાતીઓ બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે. અમદાવાદ મેટ્રો ફેઝ ૨ (એ) બાંધકામ પ્રવૃત્તિના મહત્તમ કામગીરીના સમયગાળા દરમિયાન આશરે ૨,૦૦૦ વ્યક્તિઓ માટે રોજગારી જનરેટ કરશે અને સિસ્ટમની કામગીરી અને જાળવણી દરમિયાન ૫૦૦ વ્યક્તિઓ કામ કરે તેવી શક્યતા છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ ૨(એ) શહેર માટે એક પરિવર્તનકારી વિકાસ સાબિત થવા માટે તૈયાર છે. તે ઉન્નત કનેક્ટિવિટી, ટ્રાફિકની ઓછી ગીચતા, પર્યાવરણીય લાભો, આર્થિક વૃદ્ધિ અને જીવનની બહેતર ગુણવત્તા પ્રદાન કરવાનું વચન આપે છે. મુખ્ય શહેરી પડકારોનો સામનો કરીને અને ભવિષ્યના વિસ્તરણ માટે પાયો પૂરો પાડીને, ફેઝ ૨(એ) શહેરના વિકાસના માર્ગ અને ટકાઉપણુંને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ટ્રાફિકની ગીચતામાં ઘટાડો : મેટ્રો રેલ એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે અને એરપોર્ટ સુધી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ તરીકે ફેઝ ૨(એ) સાથે, અમદાવાદની અંદર ખાસ કરીને પ્રભાવશાળી સાબિત થશે. રોડ ટ્રાફિક માં ઘટાડો થવાથી વાહનોની અવરજવર સરળ બની શકે છે, મુસાફરીના સમયમાં ઘટાડો થઈ શકે છે, એકંદર માર્ગ સુરક્ષામાં વધારો થઈ શકે છે.

પર્યાવરણીય લાભો : અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ૨(એ) ના ઉમેરાવાથી અને અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં એકંદર મેટ્રો રેલ નેટવર્કમાં વધારો થવાથી, પરંપરાગત અશ્મિભૂત બળતણ આધારિત પરિવહનની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

આર્થિક વૃદ્ધિ : મુસાફરીના સમયમાં ઘટાડો અને એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ ડેપો જેવા શહેરના વિવિધ ભાગોમાં સુધારેલી પહોંચ વ્યક્તિઓને તેમના કાર્યસ્થળો અને ગંતવ્ય સ્થાનો પર વધુ કાર્યક્ષમ રીતે પહોંચવાની મંજૂરી આપીને ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. ઉપરાંત, ઉન્નત કનેક્ટિવિટી સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહિત કરી શકે છે, ખાસ કરીને નવા મેટ્રો સ્ટેશનો નજીકના વિસ્તારોમાં, જે અગાઉ ઓછા સુલભ પ્રદેશોમાં રોકાણ અને વિકાસને પણ આકર્ષિત કરી શકે છે.

સામાજિક પ્રભાવ: અમદાવાદમાં ફેઝ ૨(એ) મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ જાહેર પરિવહન સુધી વધુ સમાન પહોંચ પ્રદાન કરશે, જે વિવિધ સામાજિક-આર્થિક જૂથોને લાભ આપશે અને પરિવહન અસમાનતા ઘટાડશે, જે મુસાફરીનો સમય ઘટાડીને અને આવશ્યક સેવાઓ સુધીની પહોંચમાં સુધારો કરીને ઉચ્ચ જીવન ધોરણમાં યોગદાન આપશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution