લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુન 2026 |
1287
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો અને વિસ્તરણ થવાની સંભાવનાઓ પ્રબળ બની છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ કેબિનેટ વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષે જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાંના રાજકીય અને સામાજિક સમીકરણોને સાધવાનો છે. સંસદનું ચોમાસું સત્ર ૨૦ જુલાઈથી શરૂ થવાની ધારણા છે, અને વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસો ૧૧ જુલાઈ સુધી નિર્ધારિત હોવાથી, આ સત્રની શરૂઆત પહેલાં જ નવી ટીમની જાહેરાત થઈ શકે છે.
હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન સહિત ૭૨ મંત્રીઓ સામેલ છે, જેમાંથી મહત્તમ સંખ્યા ૮૧ સુધી થઈ શકે તેમ છે. આ નિયમ મુજબ હાલમાં ૯ પદ ખાલી છે અને કેટલાક મંત્રીઓના રાજીનામા બાદ કુલ ૧૩ નવી જગ્યાઓ ઉપલબ્ધ બને તેવી ગણતરી છે. પંકજ ચૌધરી અને હર્ષ મલ્હોત્રા અનુક્રમે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હોવાથી, પક્ષના ‘એક વ્યક્તિ, એક પદ’ના સિદ્ધાંત હેઠળ તેઓ મંત્રીપદ છોડી શકે છે.