લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026 |
1980
સાતમી જુલાઇએ શહેરમાં આવેલા પૂર દરમિયાન પૂણાની અક્ષરધામ સોસાયટીમાંથી લાપતાં થયેલો ૧૩ વર્ષનો કિશોર ૧૫ દિવસ બાદ પણ નહીં મળતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પુણા ગામ તળાવ પાસે અક્ષરધામ સોસાયટીમાં શિવપ્રકાશ સરોજ તેની પત્ની ખુશ્બુ તથા બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાનો સાથે ભાડેથી રહે છે. ઉત્તર પ્રદેશના વારાસણસી જિલ્લાના રામપુર ગામના વતની શિવપ્રકાશ એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત ૭મી જુલાઇના રોજ શહેરમાં ભારે વરસાદ વરસતાં પુર આવ્યું હતું. પુણા વિસ્તારમાં ખાડીનાં પાણી ફરી વળ્યાં હતાં. જેમાં અક્ષરધામ સોસાયટી પણ પાણીમાં ડુબી હતી. શિવપ્રકાશ સરોજ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હોય તેમના રૂમમાં પણ પાણી ભરાઇ ગયા હતાં. એ સમયે શિવપ્રકાશ વતન ગયા હતાં. આ સ્થિતિમાં ખુશ્બુ તેના ત્રણ સંતાનાને લઇ ચોથા માળે રહેતા રાકેશની રૂમમાં સુવા જતી રહી હતી.
રાત્રે અઢી વાગ્યાના અરસામાં નાની દીકરી આદિયાએ પાણી માગતાં ખુશ્બુ જાગી હતી. દીકરીને પાણી પીવડાવ્યું ત્યારે અન્ય બે સંતાનો સુતા હતા. ત્યારબાદ તે પણ સૂઈ ગઈ હતી. કલાક બાદ સાડા ત્રણેક વાગ્યે શેરીમાંથી કોઇકે રાકેશભાઇને બૂમ પાડવા માંડી હતી. આ સાંભળી ખુશ્બુ સરોજ પણ જાગી ગઇ હતી. એ સમયે તેણીએ જાેયું તો તેની પડખે સુતો હતો એ ૧૩ વર્ષની દીકરો વર્શીલ દેખાયો ન હતો. બહાર પાણી ભરાયા હોય ખુશ્બુ હાંફળીફાંફળી થઇ અને દીકરાને શોધવા માંડી હતી. એ સમયે રાકેશે તેણીને કહ્યું કે, વર્શીલ ત્રણેક વાગ્યે નીચે જતો દેખાયો હતો. ત્યારબાદ તેણીએ સોસાયટીમાં તથા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. જાે કે તેની ભાળ મળી ન હતી. આ વાતને પંદર દિવસ વીતી જવા છતાં વર્શીલનો અતો પતો નહી લાગતા આખરે ખુશ્બુ શિવપ્રકાશ સરોજે પુણા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. વર્શીલ સગીર વયનો હોવાથી કાયદાકીય જાેગવાઈ અનુસાર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી છે.