ગાંધીનગર-

ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આજે આદિવાસી સર્વદળીય બેઠક મળી હતી. આ બેઠકમાં આદીવાસી નેતા છોટુ વસાવાની આગેવાનીમાં પાટીદાર અને ઠાકોર સમાજની જેમ આદિવાસી સમાજમાંથી પણ મુખ્યમંત્રી હોવા અંગેની માંગણી કરી બંધારણ મુજબ આદિવાસીઓને તેમના હક મળી રહે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આઝાદીના તોતેર વર્ષ થયા પછી પણ આદિવાસીઓની હાલત હદ કરતાં વધુ ખરાબ થઈ ચૂકી છે. જેમાં રાજકીય પાર્ટીઓ અને સંગઠનોએ સમાજમાં ભાગલા પાડી દીધા છે. એ જાેતા આદિવાસી સમાજે એક થવાની તાતી જરૂરિયાત ઉભી થતા આજરોજ આદિવાસી નેતા છોટુ વસાવાની અધ્યક્ષતામાં આદિવાસી સર્વ દળીય એકતા મંચની બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

આ અંગે આદિવાસી નેતા છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગુજરાતના કડવા અને લેઉવા પટેલ સમાજ ભેગા થઈને રાજકીય ભાગીદારીમાં ૧૧ ટકા પાટીદારો અને રાજકીય શૈક્ષણિક સામાજીક આર્થિક મુદ્દાઓ બાબતે સરકાર સામે અવાજ ઉઠાવીને પાટીદાર સમાજની તાકાત બતાવવામાં આવી હતી. આ જાેઈને આદિવાસી સમાજે પણ હવે એક થવાની જરૂરિયાત ઊભી થઇ છે. જાે એમ નહીં કરવામાં આવે તો આવનાર પેઢી ખલાસ થઈ જશે. આદિવાસીઓના સંરક્ષિત ૭૩ એ જમીનો સિડ્યુલ પાંચ છમાં આવતા તમામ જળ જંગલ જમીનો ઉપર કબ્જાે કરી આર.એસ.એસની વિચારધારાથી આદિવાસીઓને સરકાર દ્વારા વિસ્થાપિત કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આદિવાસી એકતા સંઘની ઘણી માગણીઓ અને ઠરાવ કરવા માટે આજે અહીં એકઠા થયા છીએ વર્ષોથી સમાજનો ઉપયોગ કરી સંવિધાન દબાવી છીનવી લેવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. જેના પગલે ગામડે ગામડે આદિવાસી સમાજના લોકોને જાગૃત કરીને સરકાર દ્વારા થતા અન્યાય બાબતે માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત આદીવાસીઓના હક્કો માટે સમિતિની પણ રચના કરી સરકાર સામે લડત કરવામાં આવશે.