અમદાવાદ-

રાજ્યના સૌથી મોટા અને આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૧-૨૨નું સુધારા સાથેનું બજેટ શાસક પક્ષ ભાજપ દ્વારા આજે સોમવારે બપોરે ૧૨ વાગ્યે ઓનલાઇન વીડિયો કોન્ફરસના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે રૂ ૮૦૫૧ કરોડનું બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કરેલા રૂ. ૭,૪૭૫ કરોડના બજેટમાં રૂ.૫૭૬ કરોડનો વધારો કર્યો છે. શાસક પક્ષ ભાજપે અમદાવાદીઓને રાહત આપતા સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી.

જ્યારે થલતેજના ઝાયડસ રોડ પર ૩૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. જેના માટે ૩૦ કરોડની જાેગવાઈ કરી છે. આ બજેટ નિરસ છે. નળ, ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ખાસ કોઈ ફાળવણી કરવામાં આવી નથી. શહેરના ૪૦ ચોરસ મીટરના રહેણાંક મિલકત ધારકોને ટેક્સ માફી આપવામાં આવી છે. જેનો ૬.૪૯ લાખ મિલકત ધારકોને લાભ મળશે. તેમજ ૪૦ ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતી તમામ રહેણાંક મિલકતોમાં જાે ૧ જૂન ૨૦૨૧થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં વર્ષ ૨૦૨૦-૨૧ સુધીનો પુરેપુરો પ્રોપર્ટી ટેક્સ(વધુમાં વધુ ત્રણ હપ્તામાં)ભરપાઈ કરવામાં આવે તો તેવા તમામ કરદાતાઓને તેમની પાછલી રકમ પર ચઢેલા વ્યાજમાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

ઈ વ્હિકલના વેરામાં ૧૦૦ ટકા રાહત- ઈ વ્હિકલના વેરામાં ૧૦૦ ટકા રાહત આપી છે. એએમસીની બિલ્ડિંગોમાં ચાલી રહેલી ટ્રસ્ટની હોસ્પિટલની મિલકતોમાં ૭૦ ટકા રિબેટ આપવામાં આવી છે. ફાયર સ્ટેશન અને ફાયર ચોકીમાં વધારો કરવા ૧૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

૪ નવા ફ્લાય ઓવર- વર્ષ ૨૦૨૧-૨૨ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર અને નરોડા પાટિયામાં ૪ નવા ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરવાની યોજના મુકવામાં આવી હતી. જ્યારે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરોને રૂ.૧૭ લાખની ગ્રાન્ટ આપવાની દરખાસ્તમાં શાસક પક્ષ ભાજપે રૂ.૧૩ લાખનો વધારો કર્યો છે અને રૂ. ૩૦ લાખની ગ્રાન્ટ હવે કોર્પોરેટરોને મળશે. કેવડિયામાં જેવું આયુષ્ય માનવ ગાર્ડન બનાવવામા આવ્યું છે, એવું આયુષ્ય માનવ ગાર્ડન અમદાવાદ શહેરમાં રૂ. ૫ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.