દિલ્હી-

ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને દેશમાં દરરોજ કોરોનાના ૩૪,૦૦૦ કરતા પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૦,૩૮,૭૧૫ના આંકડાને પાર કરી ગઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ)ના કહેવા પ્રમાણે ભારતમાં કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે અને સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

આઈએમએ હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડો. વી.કે. મોંગાના કહેવા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. ડો. મોંગાના કહેવા પ્રમાણે ભારતમાં દરરોજ ૩૦,૦૦૦ કરતા પણ વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે અને વાસ્તવમાં તે દેશ માટે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે જે ખરાબ સંકેત છે અને તેમાં કોમ્યુનિટી સ્પ્રેડ દેખાઈ રહ્યું છે.

ડો. મોંગાનું આ નિવેદન ખૂબ જ મહત્વનું છે કારણ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતત એમ જ કહી રહ્ય્šં છે કે અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી સ્પ્રેડિંગ શરૂ નથી થયું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ દાવાને અનેક હેલ્થ એક્સપટ્‌ર્સે પણ પડકારેલો છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ૧૦,૩૮,૭૧૬ લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે અને તે પૈકીના ૨૬,૨૭૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત તેમાંથી ૬,૫૩,૭૫૧ લોકો સારવારના કારણે સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ડો. મોંગાએ જણાવ્યું કે હવે કોરોના વાયરસ ગામડાઓ અને નાના નાના નગરોમાં ફેલાઈ રહ્યો છે જેથી સ્થિતિને નિયંત્રણમાં લેવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે દિલ્હીમાં તો કોરોનાને કંટ્રોલમાં કરી લેવાયો પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા અને મધ્ય પ્રદેશના દૂરસ્થ ક્ષેત્રોનું શું થશે?

ડો. મોંગાએ જણાવ્યું કે, કોરોના વાયરસ એક એવી બીમારી છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. તેનો સામનો કરવા માટે રાજ્ય સરકારોએ સંપૂર્ણ સાવધાની રાખવી જાેઈએ અને કેન્દ્ર સરકારોની મદદ લેવી જાેઈએ.

ભારતમાં પાછલા ત્રણ દિવસમાં સતત રોજના ૩૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. તેની સાથે જ કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૧૦,૭૬,૮૬૧ થઈ ગઈ છે, જેમાં કુલ ૨૬,૭૮૭ લોકોના મોત થઈ ગયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ ૩.૭૪ લાખ છે જ્યારે ૬.૭૫ લાખ લોકો વાયરસને હરાવીને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.