લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026 |
2277
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નિવાસમાં યોજાયેલી આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સુરક્ષા, વિદેશ નીતિ અને સરકારી કામકાજને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સલાહ આપી કે તેઓ માત્ર આજની સમસ્યાઓ કે હાલના આંકડાઓ સુધી જ મર્યાદિત ન રહે. તેમણે કહ્યું કે અધિકારીઓએ લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને વિચારવું જાેઈએ કે આગામી વર્ષોમાં દેશને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટે અત્યારથી શું તૈયારીઓ કરી શકાય. આ બેઠકમાં વડાપ્રધાને સરકારી વિભાગો વચ્ચે અલગ-અલગ વ્યવસ્થા એટલે કે ‘સાઇલોઝ’ પર ખાસ ભાર મૂક્યો હતો. તમણે કહ્યું કે, ‘સાઇલોઝ’ માત્ર સંગઠન સાથે જાેડાયેલી સમસ્યા નથી, પરંતુ વિચારસરણી સાથે જાેડાયેલો મુદ્દો પણ છે. આ સમસ્યા વિભાગોની વચ્ચે આડા અને ઊભા બંને સ્તરે જાેવા મળી શકે છે. મોદીએ અધિકારીઓને પોતાની જવાબદારીને માત્ર એક વિભાગ સુધી સીમિત ન રાખીને સમગ્ર દેશના હિતને ધ્યાનમાં રાખીને કામ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકારના કામકાજમાં ‘પૂરી સરકાર એક સાથ‘ની વિચારસરણી હોવી જાેઈએ. મોદીએ કોવિડ-૧૯ મહામારી અને મિડલ ઈસ્ટ તણાવનું ઉદાહરણ આપીને કહ્યું કે, આ સમયગાળા દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ સાથે મળીને જબરદસ્ત કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ડેટાને દેશની ભવિષ્યની મહત્વની સંપત્તિ ગણાવી. તેમણે કહ્યું કે સરકાર ડેટા એકત્ર કરવા, તેને સુરક્ષિત રાખવા અને સાચવવા માટે મોટા પાયે સંસાધનો પર ખર્ચ કરી રહી છે. પરંતુ અલગ-અલગ વિભાગોની સિસ્ટમ વચ્ચે પૂરતો તાલમેલ ન હોવાથી આ ડેટાનો પૂરો લાભ લઈ શકાતો નથી. અલગ હેતુઓ માટે ડેટા એકત્ર કરવાની, મેનેજ કરવાની રીત પણ અલગ હોય છે. તેથી વિવિધ વિભાગોના ડેટા સિસ્ટમ જાેડાઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.