06, ઓગ્સ્ટ 2025
બેંગાલુરૃ |
1881 |
બે વિજ્ઞાનીઓ આ કેન્દ્રમાં 10 દિવસ રહીને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે
તાલીમ કેન્દ્રમાં અંતરિક્ષમાં હોય છે તેવું જ વાતાવરણ સર્જવામાં આવ્યું છે
ભારતે પોતાના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની યોજના વધુ સઘન બનાવી છે.આ જ યોજનાના હિસ્સારૂપે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને લદાખમાં માર્સ -લાઇક એસ્ટ્રોનટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી છે.
ઇસરોના ચેરમેન ડો. વી.નારાયણને ૨૦૨૫ની ૩૧, જુલાઇએ, શુક્રવારે લદાખની ત્સો કર વેલી નામના સ્થળે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશનનું ઉદ્ધાટન કર્યું છે.
ડો.વી.નારાયણને એવી માહિતી આપી છે કે એચઓપીઇ ખરેખર તો એનેલોગ મિશન છે.ભારતના અવકાશયાત્રીઓ ભવિષ્યમાં ચંદ્રની અને ત્યારબાદ મંગળની ધરતી પર ઉતરે તે માટે અમે અત્યારથી જ જરૂરી તમામ તૈયારી શરૂ કરી છે. લદાખની આ ત્સો કર વેલી સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ ઘણા અંશે મંગળ ગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ સાથે સમાનતા ધરાવતી હોવાથી તેની પસંદગી થઇ છે.
આ તાલીમ કેન્દ્રમાં બે ક્રૂ મેમ્બર્સ દસ દિવસ સુધી રહેશે. તાલીમ કેન્દ્રમાં બંને વિજ્ઞાનીઓ વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં રહેશે. સાથોસાથ તેઓ સોઇલ કલેક્શનવગેરે જેવા વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે. અમારા આ વિશિષ્ટ પ્રયોગમાં દેશની જુદી જુદી વિજ્ઞાન સંસ્થાઓ પણ જોડાઇ છે. ખાસ કરીને બંને વિજ્ઞાનીઓની સમગ્ર ગતિવિધિ પર ઇન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ મેડિસીન ખાસ નિરીક્ષણ રાખશે.