જુનાગઢ: બાળસુરક્ષા અધિકારીએ બાળ મજૂરોને છોડાવ્યાં, માલિકો વિરુદ્ધ તપાસ હાથ ધરાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ફેબ્રુઆરી 2021  |   3663

જૂનાગઢ -

બાળ સુરક્ષા અધિકારીની કચેરીએ શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બાળ મજૂરી કરતા 6 જેટલા બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા હતા. બાળ સુરક્ષા અધિકારીની કચેરીને મળતી માહિતી અનુસાર, હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કેટલાક બાળકો પાણીપુરીના વ્યવસાયમાં બાળ મજુરી કરી રહ્યા છે તેવી બાતમી મળતા સુરક્ષા અધિકારીની ટીમ તેના કાફલા સાથે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સર્ચ હાથ ધર્યુ હતું. જેમાં 6 જેટલા બાળકો પાણીપુરીના વ્યવસાયમાં બાળમજૂરી કરતાં જોવા મળ્યા હતા.

જૂનાગઢ બાળ સુરક્ષા અધિકારી ટીમના રમેશ મહિડા અને કિરણબેન પટેલ દ્વારા બાળ મજૂરોને જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી મુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. છતાં બાળ મજૂરીનું પ્રમાણ હજુ પણ બંધ થતું જોવા મળતું નથી. બાળ મજૂરોના વાલીઓ તેમના સંતાનો પાસે આર્થિક મદદ મળી રહે તે માટે બાળ મજૂરી માટે મોકલી રહ્યા છે. તો બીજી તરફ જે લોકો બાળકોને મજૂરીએ રાખી રહ્યા છે તેઓ પણ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તેમ છતાં બાળકના વાલીઓ અને બાળકોને મજૂરી કામે રાખનારા માલિકો બાળકોનો વિચાર કર્યા સિવાય તેમને મજૂરી કામે રાખી રહ્યા છે. આવા વાલી અને બાળ મજૂરોને કામે રાખનારા વ્યક્તિઓ સામે વધુ આકરી કાર્યવાહી થાય તો બાળ મજૂરીની ગુલામીમાંથી બાળમાનસ મુક્ત થઈ શકે તેમ છે.
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution