લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2026 |
5049
નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ પ્રોગ્રેસિવ ટાટા શોરૂમના મેનેજર રાજન જાેષીએ માર્કેટ રેટ કરતાં વધુ કિંમત અપાવવાની લાલચ આપી સ્થાનિક બિલ્ડર ધનેન્દ્રભાઈ પટેલ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. બિલ્ડરે પોતાની જૂની મારુતિ સુઝુકી કાર વેચવા માટે આપતાં મેનેજરે વિશ્વાસમાં લઈને ગાડી કબ્જે કરી લીધી હતી. આ ઘટના બહાર આવતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મેનેજર રાજન જાેષીએ ગાડી મેળવ્યા બાદ ફરિયાદીની જાણ બહાર જ આ કાર આણંદના એક ડીલરને વેચી મારી હતી. વેચાણ થકી ઉપજેલી રકમ પોતાની પાસે રાખી લઈ આરોપીએ ધનેન્દ્રભાઈને નાણાં ચૂકવ્યા નહોતા. બિલ્ડરે વારંવાર પોતાના નાણાંની માંગણી કરવા છતાં આરોપીએ બહાના બતાવી પૈસા ન આપતાં, આખરે છેતરપિંડીનો અહેસાસ થતાં ધનેન્દ્ર પટેલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજન જાેષીએ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ ૫૦થી વધુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાની આશંકા છે. આ કૌભાંડમાં જૂની ગાડીઓ ખરીદનારા ડીલરો પણ ફસાયા છે, જેમણે પૂરા નાણાં ચૂકવી દીધા હોવા છતાં તેમને ગાડીઓની એનઓસી મળી નથી. નડિયાદ પોલીસે હાલ આવી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોનું એક લાંબુ લિસ્ટ તૈયાર કર્યું છે. મુખ્ય આરોપી રાજન જાેષી વિરુદ્ધ એફઆઈઆર નોંધાતાં જ તે ગઈકાલથી ફરાર થઈ ગયો છે. મેનેજર ફરાર થઈ જવાની ખબર પડતા જ પોતાની ગાડીઓ અને નાણાં પરત મેળવવા માટે ટાટા શોરૂમની બહાર આક્રોશિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ હવે અન્ય પીડિતો પણ પોતપોતાના સબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવવા તૈયારી કરી રહ્યા છે.
નડિયાદ ટાઉન પોલીસે આરોપી રાજન રમેશચંદ્ર જાેષી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે આરોપીની ધરપકડ બાદ ગાડીઓ વેચવાના નામે આચરવામાં આવેલા આ મોટા કૌભાંડના અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવશેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.