મુંબઇ 

સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્યે પહેલી ડિસેમ્બરના રોજ લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્યે લગ્નનો રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. આદિત્યે કહ્યું હતું કે વરમાળા પહેરાવતી વખતે તેનો પાયજામો ફાટી ગયો હતો અને પછી તેણે મિત્રનો પાયજામો પહેરીને આગળની વિધિ સંપન્ન કરી હતી.

આદિત્યે કહ્યું હતું, 'વરમાળા દરમિયાન જ્યારે મિત્રોએ મને ઊંચક્યો ત્યારે મારો પાયજામો ફાટી ગયો હતો. ત્યારબાદ ફેરા ફરતી વખતે મારે મારા મિત્રનો પાયજામો પહેરવો પડ્યો હતો. નસીબ સારા કે મારો તથા મારા મિત્રનો પાયજામો એક જેવો જ હતો.'

વધુમાં આદિત્યે કહ્યું હતું, 'મેં મુંબઈના અંધેરીમાં 5BHK ફ્લેટ ખરીદ્યો છે. આ ઘર મારા પેરેન્ટ્સની બિલ્ડિંગથી માત્ર ત્રણ બિલ્ડિંગ દૂર છે. 3-4 મહિનામાં અમે ત્યાં શિફ્ટ થઈ જઈશું. પેરેન્ટ્સ અમારાથી માત્ર થોડાંક અંતર દૂર રહેશે. વર્ષોની બચત ભેગી કર્યાં બાદ હું આ ઘર ખરીદી શક્યો છું.'

આદિત્ય તથા શ્વેતાએ પહેલી ડિસેમ્બરના રોજ જુહૂમાં આવેલા ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. કોરોનાને કારણે લગ્નમાં 150 લોકો સામેલ થયા હતા. બીજી ડિસેમ્બરના રોજ વેડિંગ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું, જેમાં આદિત્યના નિકટના મિત્રો, ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયા, ગોવિંદા સહિતના સેલેબ્સ આવ્યા હતા.