છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે 2001માં રિલીઝ થયેલી આર. માધવનની ફિલ્મ રહેન હૈ તેરે દિલ મેં ફિલ્મની સિકવલ બન રહી છે. આ સમાચારો બાદ આર. માધવને સ્પષ્ટતા કરી છે કે હવે ફરીથી માધવ શાસ્ત્રી બનવું એટલે હાથીને ચડ્ડી પહેરાવવા જેવી વાત છે.

આર. માધવને પોતાની અને દિયા મિર્ઝાની એક ફોટો શેર કરીને લખ્યું છે કે રહેના તેરે દિલ મેં અંગે હું અફવાઓ સાંભળી રહ્યો છું અને એવી આશા પણ રાખું છું કે આ વાત સાચી પડે પરંતુ ખરેખર કહું તો મને આ અંગે કોઈ આઇડિયા નથી. પ્રાર્થના કરું છું કે ક્યાંક ને ક્યાંક એવી સ્ક્રીપ્ટ હશે તે મને અને દિયાની ઉંમર મુજબ સેટ થતી હોય.

આ સિવાય તો હવે ફરીથી માધવ શાસ્ત્રી બનવું એટલે હાથીને ચડ્ડી પહેરાવવા જેવી વાત છે. રહેના તેરે દિલ મેં ફિલ્મમાં આર. માધવન એક યુવાનના રોલમાં હતો અને ત્યાર બાદ તેનું વજન પણ ઘણું વધી ગયું છે.એ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ હતો. માધવન છેલ્લે શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. તે રોકેટ્રી, નિ:શબ્દમ અને સાઇલન્સ જેવી ફિલ્મો ઉપરાંત કેટલીક તમિળ ફિલ્મમાં પણ આવી રહ્યો છે.