રાજ૫ીપળા, તા.૧૮

વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી ૨૦ વર્ષીય યુવતીની નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્‌સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. તાજેતરમાં ધોરણ ૧૨ની પરીક્ષા આપનાર યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે માટે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રીપોર્ટ બાદ જ હત્યા કેવી રીતે કરાઈ તેની સ્પષ્ટતા થશે. જાેકે,આ યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાની શક્યતા પ્રાથમિક તબક્કે વ્યક્ત કરાઈ રહી છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરા નિલેશભાઈ સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત સુધી પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરા ગુમ થઈ ગયાની અરજી આપી હતી. બીજી તરફ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીરાની લાશના ફોટા પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જાેવા મળતા તેઓ તિલકવાડા ખાતે દોડી ગયા હતા અને લાશની ઓળખ કરી હતી. લાશની ઓળખ થયા બાદ તેના પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે, તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સુવિધા યોગ્ય ન હોવાના કારણે અને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી મીરાનો મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જાેકે, તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજી બાજુ મીરાએ તેની પિતરાઈ બેનને વોટ્‌સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. જેથી મીરા સોલંકીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. અને જુના પાદરા રોડ ઉપર રહેતા સંદીપ નામના યુવાન સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોંવાનુ જાણવા મળે છે.

યુવતીએ ધો-૧૨ની પરીક્ષા આપી હતી

આ સનસનીખેજ બનાવ અંગે માંજલપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. તેને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. બે દિવસ પહેલા તે ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી.