વડોદરા, તા.૨૯

કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ તા.૧ જુલાઈના રોજ શુક્રવારે વડોદરા શહેરમાં પરંપરાગત ૪૧મી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા વાજતેગાજતે યોજાનાર છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરવાસીઓ, ભક્તજનો, સેવકો જાેડાવવાનો અંદાજ હોઈ રથયાત્રાના રૂટ પર વડોદરા શહેર પોલીસતંત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા માટેનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.

એટલું જ નહીં, રથયાત્રાના રૂટ ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ યોજ્યું હતું. આ સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં સંપન્ન કરવા માટે પોલીસતંત્રે કમર કસવા સાથે કવાયત હાથ ધરી છે.

રથયાત્રાના બંદોબસ્ત અંતર્ગત આજે પોલીસતંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બહારથી મંગાવવામાં આવેલ સુરક્ષા ફોર્સ, સીઆઈએસએફની ટીમ, ડીસીપી, એસીપી, પીઆઈ, એસઆરપી પોલીસ ફોર્સની ટીમો જાેડાઈ હતી. પોલીસ અધિકારીના સૂત્રોના જણાવ્યા મુજબ રથયાત્રાની સુરક્ષા બંદોબસ્તમાં ડીસીપી કક્ષાના ૬, ડીવાયએસપી કક્ષાના ૧૦, પીઆઈ કક્ષાના ૪૦, પીએસઆઈ કક્ષાના ૧૦૦, પોલીસ વિભાગના કમ્ર્ચારીઓ ૧૫૦૦, એસઆરપીની ર કંપની, સઅીાઈએસએફની એક કંપની, સ્થાનિક ડીસીબી, પીસીબી, એસઓજી, મહિલા શી ટીમ સ્કવોર્ડની સાથે ઘોડેસવાર પોલીસ સીસીટીવી કેમેરા, બોડીવોર્ન કેમેરા, હાઈરાઈઝ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. અલબત્ત, ગુનાહિત અને ખોટી અફવા ફેલાવતા તત્ત્વો પર વોચ રાખવામાં આવી રહી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.