આ એક્ઝિટ પોલ નહીં, મોદી મીડિયા પોલ   : ઈન્ડિયા ગઠબંધનને આ વખતે ૨૯૫ બેઠકો મળશે: રાહુલ ગાંધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2024  |   1584

નવી દિલ્હી:લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી એક્ઝિટ પોલ પણ આવી ગયા છે અને લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ એક્ઝિટ પોલને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે “આ એક્ઝિટ પોલ નથી, પરંતુ મોદી મીડિયા પોલ છે.” તેમણે દાવો કર્યો કે ઈન્ડિયા ગઠબંધનને ૨૯૫ બેઠકો મળશે.તેમને જ્યારે પોલના તારણો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “આ મોદી મીડિયા પોલ છે, આ મોદીજીનો મત છે. આ તેમનું કાલ્પનિક મતદાન છે.” રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ઈન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે, ત્યારે તેમણે કહ્યું કે “તમે સિદ્ધુ મુસેવાલાનું ગીત સાંભળ્યું છે...અમને ૨૯૫ બેઠકો મળી રહી છે.” સિદ્ધુ મુસેવાલાના એક ગીતનું ટાઈટલ પણ ૨૯૫ હતું.આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના ઉમેદવારો સાથે એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તેમાં તેમણે આગળની વ્યૂહરચના વિશે વાત કરી હતી. તેમણે સૂચના આપી કે મતગણતરી થાય ત્યારે આપણે ખાસ સાવચેતી રાખવાની છે. ઉમેદવારો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક્ઝિટ પોલ તમને નિરાશ કરવા માટે છે. ઘણી બેઠકો પર બહુ નજીકના ટક્કર થઈ છે. તેથી છેલ્લા મતની ગણતરી થાય ત્યાં સુધી આપણે અડગ રહેવું જાેઈએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution