અમદાવાદ

છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો પરિણીતાઓ પર ઘરેલુ હિંસાના બનાવો જાણે કે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની બાબતોને લઈને દંપતી વચ્ચે થયેલા ઝઘડાઓ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં હોય છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આવો એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જાેવા મળ્યો છે. પોલીસે આ અંગે હાલ તપાસ શરૂ કરી છે.

જુહાપુરા વિસ્તારમાં રહેતી એક પરણિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, નવેમ્બર ૨૦૨૦માં તેના લગ્ન કાલુપુરના એક યુવાન સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદ તેનો પતિ તેને જમવાનું બનાવતા આવડતું નથી, તારા પિતાએ કશું શીખવાડ્યું નથી, તેમ કહીને મેણા ટોણા મારીને બીભત્સ ગાળો બોલી ને માર મારતા હતા. જ્યારે પણ પરિણીતા આ બાબતની જાણ તેના સાસુને કરે તો તેના સાસુ પણ તેના દીકરાનું ઉપરાણું લઇને મારો દીકરો જે કરે તે ખરું, તારે આ બાબતે મને કોઈ વાત કરવાની નહિ કહીને ગંદી ગાળો બોલી વાળ પકડી, લાતો મારી ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતા હતા.

જાેકે, તેના સસરા પણ તારા પિતાએ કોઈ સંસ્કાર આપ્યા નથી, તારી સાથે મારા દીકરાના લગ્ન કરાવી બહુ મોટી ભૂલ કરી છે. તેમ કહીને ગંદી ગાળો બોલી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત પરિણીતાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તને લગ્ન સમયે પિતાએ કરિયાવરમાં કંઈ આપ્યું નથી, નવી ગાડી લાવવા પિયરમાંથી રૂપિયા ૩ લાખ લઈ આવવા માટે પણ દબાણ કરતા હતા.

૨૨મી માર્ચના દિવસે બપોરે પરિણીતાના પતિ ઘરે જમવા માટે આવ્યા હતા ત્યારે થોડીવારમાં જમીને ઉભા થઇ ગયા હતા અને તે શાકમાં જાણીજાેઈને મીઠું વધારે નાખ્યું છે તેમ કહીને પરિણીતાનો હાથ મચકોડીને માર માર્યો હતો. તેના સાસુ સસરાએ પણ તેને બરડાના ભાગે બેઠો માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

એટલું જ નહિ, ધમકી આપી હતી કે, જાે રૂપિયા લીધા વગર પરત આવીશ તો હાથ પગ તોડી નાંખીશ. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.