અમદાવાદ-

અમદાવાદના સોલા વિસ્તારમાં યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વૈષ્ણૌદેવીથી ઓગણજ તરફ જતા સ્ટર્લિંગ ગ્રીનવૂડ સોસાયટીમાં રહેતી 23 વર્ષીય યુવતીએ ગળેફાંસો લગાવી મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી. આત્મહત્યા કરનારી આ યુવતી મૂળ પંજાબના અમૃતસરની રહેવાસી છે. મૃતક યુવતી અમદાવાદની ખાનગી કંપનીમાં કામ કરતી હતી. અને અન્ય યુવતીઓ સાથે ભાડે રહેતી હતી. જો કે આ આત્મહત્યાં પાછળ કોઈ ખાસ કારણ જાણવા મળ્યું નથી. તો આ મામલે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સોલા વિસ્તારના સ્ટર્લિંગ ગ્રીનવૂડ સોસાયટીમાં સંદીપ કૌર નામની યુવતી અન્ય યુવતીઓ સાથે ભાડે થી રહેતી હતી. 30 જૂનના રોજ યુવતી ઘરે હતી, ત્યારે તેની સાથે રહેતી અન્ય યુવતીઓ કામ માટે બહાર ગઈ હતી. જો કે તે સમયે સંદીપે પંખા સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જો કે તેની અન્ય સહેલીઓ રૂર પર પરત આવી ત્યારે દરવાજો અંદરથી બંધ હોય કોઈ ખોલતું ન હોવાથી ડુપ્લીકેટ ચાલી વડે દરવાજો ખોલ્યો ત્યારે સંદીપ કૌર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી મૃતક સંદીપ કૌરના મૃતદેહને પીએમ માટે મોકલી આપીને તપાસ હાથ ધરી જેમાં એવુ જાણવા મળ્યું હતું કે, સંદીપ મુળ પંજાબની હતી અને હાલ અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.