08, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
1881 |
ટૂંક સમયમાં નામની જાહેરાત થવાની શક્યતાં
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સએ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર રીતે તૈયારીઓ વધુ તેજ કરી દીધી છે. ગુરુવારે સંસદ ભવનમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં એનડીએ તરફથી ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને આપવામાં આવ્યો હતો. બેઠક બાદ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
જગદીપ ધનખડે 21મી જુલાઈના રોજ અચાનક આશ્ચર્યજનક રીતે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી, આ પદ ખાલી છે. ત્યારે આગામી ઉપરાષ્ટ્રપતિ વિશે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે. NDAના સંભવિત ચહેરાઓમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી છે. તેમણે તાજેતરમાં જ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
જ્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાનું નામ પણ ચર્ચામાં છે. કોર્પોરેટ ક્ષેત્રમાંથી આવતા સક્સેનાએ દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટી સરકાર સામે ઘણાં વહીવટી નિર્ણયો અટકાવ્યા હતા.
બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર વિશે પણ ચર્ચા ચાલી રહી છે કે, તેઓ પણ ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં જોડાઈ શકે છે. જો કે, આ હજુ માત્ર અટકળોજ હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સિંહ JDUમાંથી આવે છે. તેમને એક વિશ્વસનીય અને અનુભવી ચહેરો પણ માનવામાં આવે છે. વર્ષ 2020થી આ પદ સંભાળતી વખતે, તેમણે ઘણી વખત ગૃહમાં સંતુલન જાળવી રાખ્યું છે અને સરકાર સાથે સ્પષ્ટ સમજણ ધરાવે છે.