દુબઈ-અબુધાબીથી ૨૧૦૦ ભારતીય પરત ફર્યા, ભારતથી ૨૫૦ ફ્લાઇટ રદ્દ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, માર્ચ 2026  |   2178


નવી દિલ્હી, ઇઝરાયલ-ઈરાન જંગનો આજે ચોથો દિવસ છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ બાદ ભારતીયો પરત ફરી રહ્યા છે. દુબઈ અને અબુધાબીથી મંગળવાર સાંજ સુધીમાં સાત ફ્લાઇટથી ૨૧૦૦થી વધુ ભારતીયો પરત ફર્યા છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ બે દિવસમાં ભારતીયોની સુરક્ષાને લઈને ૮ ખાડી દેશોના નેતાઓ સાથે વાત કરી છે. પીએમે આજે ઓમાનના સુલતાન, કતારના અમીર અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાત કરી ત્યાં થયેલા હુમલાની નિંદા કરી હતી.એરસ્પેસ બંધ થવાને કારણે મંગળવારે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર ૨૫૦ થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં દિલ્હીથી ૮૦, મુંબઈથી ૧૦૭, બેંગલુરુથી ૪૨ અને ચેન્નઈથી ૩૦ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

ઇન્ડિગો આજે જેદ્દાહથી હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને અમદાવાદ માટે ૧૦ સ્પેશિયલ ફ્લાઇટ્સ પણ ચલાવી રહ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મસ્કત માટે ફ્લાઇટ્સ શરૂ કરી છે. વધુમાં, સોમવારે મોડી રાત્રે યુએઈથી ચાર ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ આવી. અબુ ધાબીમાં ફસાયેલા ભારતીયોએ ઘરે પરત ફરતા રાહતનો શ્વાસ લીધો. એક મુસાફરે જણાવ્યું કે અબુ ધાબીમાં તેમની હોટલ નજીક વિસ્ફોટ થયા હતા.દરમિયાન, એર ઇન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution