અમદાવાદ-
રાજ્યમાં આજે વહેલી સવારથી જ અકસ્માતની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી ચૂકી છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર હાઈવે પર આ રોડ અકસ્માત થયા હતા. જેમાં કુલ 15 લોકોએ જીવ ગુમાવ્યો અને 38થી વધુને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ણેય અકસ્માતમાં સૌથી ગંભીર અકસ્માત વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો છે, જેમાં 5 મહિલા સહિત 11 લોકોનો મોત થયા છે. જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તે પછી સુરેન્દ્રનગરમાં પણ કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. સુરત અકસ્માતમાં હજુ સુધી મોતના કોઈ સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 108 દ્વારા તમામને સારવાર હેઠળ લઈ જવાયા છે.
વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતા 15 લોકો વાહનમાં ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સુરેન્દ્રનગર લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ગંભીર અકસ્માતમાં લખતર ગામના કુંભાર પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. મૃતકમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષનો સમાવેશ થાય છે. એક વ્યક્તિને ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
સુરતના બારડોલીમાં દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગ્યાના સમયે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હજુસુધી કોઈના મોતના અહેવાલ સામે આવ્યા નથી. જ્યારે 20થી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Loading ...