મુંબઇ-

દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનાં હાથમાં મેંગલુરૂ, લખનઉ, અમદાવાદ બાદ હવે મુંબઇ એરપોર્ટ પણ આવી ગયું છે, કંપનીએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં ૨૩.૫ ટકા હિસ્સેદારી ખરીદી લીધી છે, એએએચએલ એ ૧,૬૮૫.૨૫ કરોડ રૂપિયામાં આ હિસ્સો બે વિદેશી કંપનીઓ એસીએસએ ગ્લોબલ લિમિટેડ અને બિડ સર્વિસીસ ડિવિઝન (મોરેશિયસ) લિમિટેડ ( બિડવેસ્ટ) પાસેથી ખરીદ્યો છે.

અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સ્ચેંજને આપેલા એક સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે એએએચએલએ એમઆઇએએલનાં ૧૦ રૂપિયાની મુલ્યનાં ૨૮.૨૦ કરોડ શેર ખરીદ્યા છે. એએએચએલએ અદાણી એન્ટરપ્રાઇઝની સંપૂર્ણ માલિકીની કંપની છે. જીવીકે એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ સાથેનો સોદો પુરો થયા બાદ એમઆઇએએલમાં અદાણી જૂથની ભાગીદારી ૭૪% થઇ જશે. એમઆઇએએલનો બાકીનો ૨૬ ટકા હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે છે. એમઆઇએએલ ની સ્થાપના ૨ માર્ચ ૨૦૦૬ ના રોજ થઈ હતી. કંપનીએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ, બાંધકામ અને સંચાલનનો બિઝનેશ કરે છે.

ગયા વર્ષના અંતમાં અદાણી ગ્રૂપે એએઆઇ પાસેથી મેંગલુરૂ, લખનઉ અને અમદાવાદ એરપોર્ટ મેળવ્યા હતા. આ વર્ષે જુલાઈ સુધીમાં, તે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ પણ પ્રાપ્ત કરશે. અદાણી જૂથ આ ૬ એરપોર્ટનો વિકાસ, વહીવટ અને સંચાલન આગામી ૫૦ વર્ષ સુધી કરશે. આ રીતે, અદાણી ગ્રુપ એરપોર્ટ સંખ્યાનાં સંદર્ભમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બનવા જઈ રહ્યું છે. જાેકે, જીએમઆર મુસાફરોની સંખ્યાના સંદર્ભમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર છે. તેની પાસે દિલ્હીમાં આઇજીઆઇએ, હૈદરાબાદ એરપોર્ટ અને ગોવાનું મોપા એરપોર્ટ છે.