વલસાડ-

આગામી તારીખ 3 નવેમ્બરના રોજ આવી રહેલ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાના પ્રચાર માટે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ મોટી તંબાડી અને કોપરલી ઝરીકુંડી ખાતે સભા સંબોધી હતી. જેમાં સરકાર ઉપર આક્ષેપો કર્યા કરતા કહ્યું કે, ધારાસભ્યોનો ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે. કોરોના મહામારી માટે તેમને સરકારને આડે હાથ લેતાં આક્ષેપ સાથે દાવો કર્યો કે, ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ દર ખૂબ ઊંચો છે. જે આંકડો બતાવવામાં આવે છે એના કરતાં 10 ગણાં મૃત્યુ સ્મશાનમાં નોંધાય છે. કોરોના કાળમાં.સરકારે પ્રજા સાથે ઉભા રહેવાની જરૂર હતી. તેના બદલે પ્રજાને ત્રાસ આપ્યો છે. સરકાર કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવી ન શકી એટલે ખાનગી હોસ્પિટલને બખ્ખાં થયાં છે. જેના કારણે પ્રજા લૂંટાઈ રહી છે. આમ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છેના આક્ષેપો અર્જુનભાઈએ કર્યા હતાં. તેમણે જૂનાં સ્મરણો યાદ કરાવતાં જણાવ્યું કે વર્ષો પહેલાં અહીંના દિગ્ગજ નેતા ઉત્તમભાઈ પટેલ પણ અપક્ષથી ચૂંટણી લડી હતી.તે સમયે પણ પ્રજાએ માત્ર કોંગ્રેસને સાથ આપ્યો હતો. કપરાડાની પ્રજા અગાઉ પણ માત્ર પંજાને સાથ આપ્યો હતો. આ વખતે પણ ચોક્કસ વિજય મળશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, આજે અર્જુન મોઢવાડીયા સાથે કોંગ્રેસના પ્રવક્તા સહિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત અનેક કોંગ્રેસીઓ જોડાયાં હતાં.