વડોદરા, તા.૧૪
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં વડોદરા કોર્પોરેશન, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પૂર્વ સૈનિકો, સામાજીક, ધાર્મિક સંસ્થાના આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં જાેડાયા હતા.ગૃહ મંત્રીએ આ પ્રસંગે કહ્યું હતંુ કે,કાશ્મીરમાં આતંકવાદીના ઘરે પણ તિરંગો લહેરાય છે.
તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા વડોદરાવાસીઓના ઉત્સાહને વંદન કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ડાંગથી લઈને ગીર સોમનાથ અને અંબાજીથી લઈને વલસાડના ઉમરગામ સુધી ગુજરાતના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જાેડાતા લોકજુવાળને હું વંદન કરું છુ.તેમણે એમપણ કહ્યુ હતુ કે,દેશ હવે બદલાઈ રહ્યો છે.કાશ્મિરના એવા ગામોમાં પણ તિરંગો શાન થી લહેરાય છે.જ્યાં પહેલા પાકિસ્તાનનો ઝંડો લહેરાતો હતો.કાશ્મીરમાં આતંકવાદીના ઘરે પણ આજે આન, બાન, શાનથી તિરંગો લહેરાય છે, તેમણે સૈનિકો, પૂર્વ સૈનિકો અને બહાદુર જવાનોને નમન કર્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત તિરંગા યાત્રાનું ગૃહ રાજ્યમં હર્ષ સંઘવીએ કીર્તિ સ્તંભ ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રા કીર્તિ સ્તંભથી શરૂ થઈને ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, શહીદ ભગતસિંહ ચોક, સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સમાપ્ત થઈ હતીઆ ‘તિરંગા યાત્રા’માં હર્ષ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર નિલેશ રાઠોડ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, પાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો,વડોદરાના ભાજપ પ્રભારી ગોરધન ઝડફીયા, શહેર ભાજપના અગ્રણીઓ, મ્યુનિ.કમિશ્રર, જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, શહેર પોલીસ કમિશન, જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મનપાના અધિકારીઓ, વડોદરા શહેર પોલીસ-ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, એન. ડી. આર. એફ.ના જવાનો, એન. સી. સી. કેડેટ્સ, મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને વડોદરાના નાગરિકો તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા.
Loading ...