આણંદ, નડિયાદ : ખેડા જિલ્લામાં સોમવારે કોરોનાના કુલ ૧૨ દર્દી નોંધાયા હતાં. આ સાથે કુલ દર્દીનો આંક ૩૦૧૩ પર પહોંચી ગયો છે. સોમવારે પણ સૌથી વધુ ૯ દર્દીઓ નડિયાદમાં જ નોંધાયા હતા, જ્યારે આણંદ જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી કોરોના સંક્રમણ ઘટ્યું છે. તેમજ રીકવરી રેટ ૯૪ ટકાએ પહોંચ્યો છે. સોમવારે આણંદ જિલ્લામાં ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ત્રણ યુવકો અને ૬ આધેડનો સમાવેશ થાય છે.
ચરોતરમાં કોરોનાના કેસમાં તબક્કાવાર ઘટાડો થતાં લોકોમાં રાહત થઇ હતી. સોમવારે નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલી હીર પાર્ક સોસયાટીમાં રહેતા ૪૧ વર્ષના મહિલા, વલ્લભ નગર દર્શન સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષના યુવક, પીજ રોડ ઉપર આવેલા મિહિર પાર્કમાં રહેતા ૫૯ વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ટુંડેલ ગામના અક્ષર હાઇટ્સમાં રહેતી ૧૧ વર્ષની કિશોરી અને ૩૬ વર્ષની મહિલા, યોગીનગરમાં ખોડિયાર મંદિર પાસે રહેતા ૭૫ વર્ષના વૃદ્ધ અને ૧૮ વર્ષનો યુવક તેમજ ૧૪ વર્ષની તરૂણી કોરોનાની ઝપેટમાં ચડ્યા છે. આ ઉપરાંત જિલ્લાના કપડવંજ - કઠલાલ અને ખેડામાં પણ કોરોનાના એક - એક દર્દી મળી આવ્યા છે. જિલ્લાનો કુલ આંક ૩૦૧૩ પર પહોંચ્યો છે. હાલમાં ૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૪૭ દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે. જ્યારે બાયપેપ પર ૩ અને ઓક્સિજન પર ૯ દર્દીઓ છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી સવા લાખ ઉપરાંત લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૧.૨૨ લાખ નેગેટિવ આવ્યા હતા.
આ બાજુ આણંદ જિલ્લામાં હાલ ૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી૨૧ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.આણંદ શહેરમાં ૨, વિદ્યાનગર, ખંભાત, આંકલાવ, બોરસદ અને પેટલાદ એક એક પોઝિટિવ કેસ નોંધાયા છે. તારાપુરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં આણંદ જિલ્લાની ૬૨ દર્દીઓમાં ૩૨ દર્દીો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જયારે ૪ દર્દીઓ સમરસ સેન્ટરમાં અને બે દર્દી બોરસદ અંજલી અને અન્ય જિલ્લામાં ૩ દર્દીઓ સારવાર હેઠળ છે.
આણંદ જિલ્લામાં છેલ્લાં ૯ માસમાં ૧૫૮૧૭૨ લોકોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી ૧૫૫૮૬૨ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૨૩૧૦ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી ૨૨૩૧ દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. ૧૭ દર્દીઓના મોત થયા છે. હાલમાં હોસ્ટિલમાં દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે.
Loading ...