વડોદરા, તા. ૬
શહેરની સેન્ટ્રલ જેલમાં કેદ કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફ અદો તેમજ મુકેશ હરજાણી ગેંગનો શાર્પશૂટર એન્થોની અને ભાજપા કાર્યકરની હત્યાના ગુનામાં સંડોવાયેલા પાર્થ પરીખ છેલ્લા ૨૫ દિવસથી જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. આ ત્રણેય રિઢા-માથાભારે ગુનેગારોએ તેઓના ત્રણ મોબાઈલ ફોન તેઓના પંટર એવા એક કાચા કામના કેદીને સાચવવા માટે આપ્યા હતા જે ગઈ કાલે જેલમાં ઝડતી દરમિયાન ઝડપાઈ જતાં જેલ સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા. આ બનાવની જેલરે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાચા કામના ચાર કેદીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના સેન્ટ્રલ જેલમાં જેલર-ગ્રૂપ ૨ તરીકે ફરજ બજાવતા મકનાભાઈ ખાંટ તેમજ અન્ય જેલરો અને સ્થાનિક ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓએ ગઈ કાલે બપોરે જેલના સરદાર યાર્ડ ખાતે રખાયેલા કાચાકામના કેદીઓના બેરેકોમાં આકસ્મિક ઝડતી હાથ ધરી હતી. આ ઝડતી દરમિયાન સરદાર યાર્જના સેલ-૦૪માં રખાયેલા કાચા કામના કેદી સોનુ અલીશેર પઠાણના પથારી-પાથરણાની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન તેની પથારી નીચેથી ઈન્ટેલ કંપનીના બે અને જીઓ કંપનીના એક સહિત ત્રણ મોબાઈલ ફોન સીમકાર્ડ સહિત મળી આવ્યા હતા.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી પાસેથી એક સાથે ત્રણ-ત્રણ મોબાઈલ ફોન મળી આવતા જેલ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ સોનુ પઠાણની પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે આ ત્રણેય મોબાઈલ ફોન હું પોતે તેમજ કાચા કામના અન્ય ત્રણ કેદીઓ સુનિલ ઉર્ફ અદો પ્રકાશભાઈ કેવલરામાણી, અનિલ ઉર્ફ એન્થોની મુલચંદ ગંગવાણી અને પાર્થ બાબુલભાઈ પરીખ સાથે મળીને ચોરીછુપીથી ઉપયોગ કરતા હતા અને ઉપયોગ કર્યા પછી મને છેલ્લા ૨૦-૨૫ દિવસથી સાચવવા માટે આપ્યા છે. આ વિગતોના પગલે જેલ સ્ટાફે સીમકાર્ડ સહિતના ત્રણેય મોબાઈલ ફોન સોનુ પઠાણ પાસેથી કબજે લીધા હતા. આ બનાવની જેલર મકનાભાઈએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેરનામાના ભંગ તેમજ કેદી અધિનિયમ હેઠળ સોનુ પઠાણ, અનિલ ઉર્ફ એન્થોની, સુનિલ ઉર્ફ અદો અને પાર્થ પરીખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ જેલમાં બેઠાં બેઠાં ગુનાનુું નેટવર્ક ચલાવ્યાની શંકા
ગઈ કાલે જેલમાં મળી આવેલા ત્રણ મોબાઈલ ફોન રાજયભરમાં દારૂનું નેટવર્ક ચલાવતા અને દારૂબંધીના ગુનામાં સંડોવાયેલા સુનિલ ઉર્ફ અદો તેમજ મુકેશ હરજાણી ગેંગના પુર્વ શાર્પશુટર તેમજ નકલી ચલણી નોટો અને ખેડુતને ધમકીના ગુનામાં સંડોવાયેલા અનિલ ઉર્ફ એન્થોની ગંગવાણી અને થોડાક સમય અગાઉ રેસકોર્સ વિસ્તારમાં નજીવી તકરારમાં ભાજપા કાર્યકરની બેઝબોલના ફટકા મારીને હત્યા કરવાના ચકચારભર્યા બનાવમાં સંડોવાયેલા પાર્થ બાબુલ પરીખ વાપરતા હતા. આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ભુતકાળ જાેતા તેઓએ જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા હોવાની શંકા સેવાઈ રહી છે. જાેકે રીઢા ગુનેગારો લાંબા સમયથી જેલમાં મોબાઈલ વાપરતા હોવા છતાં જેલના સત્તાધીશોને કોઈ જાણ નહી થતાં જેલની સુરક્ષાવ્યવસ્થા ફરી એક વાર પોકળ સાબિત થઈ છે.
મોબાઈલની હ્લજીન્માં ચકાસણી થશે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે
જેલ સત્તાધીશોએ કબજે કરેલા ત્રણેય મોબાઈલ ફોન રાવપુરા પોલીસને સોંપાયા છે. આ ત્રણેય મોબાઈલ ફોનને પોલીસે એફએસએલમાં ચકાસણી માટે મોકલવાની તજવીજ શરૂ કરી છે. એફએસએલની ચકાસણીમાં આ ફોનનો ખરેખરમાં કેટલા સમયથી આ રીતે જેલમાં ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે ?, આ ત્રણ સિવાય અન્ય કેટલા કેદીઓએ તેનો વાતચિત કે ધમકી આપવા માટે ઉપયોગ કર્યો છે? કેદીઓએ કોની કોની સાથે અને કેટલી વાર વાતો કરી છે? મોબાઈલ પર વાતો કરીને કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો છે કે કેમ? તેની ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે.
કેદીઓ સુધી મોબાઈલ પહોંચાડવામાં જેલના કેટલા કર્મચારીની સંડોવણી?
જેલમાંથી રિઢા અને નામચીન આરોપીઓના ત્રણ ત્રણ મોબાઈલ એક સાથે મળી આવવાની ઘટનાના પગલે જેલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર પ્રશ્નાર્થો સર્જાયા છે. જેલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવાના જેલ સત્તાધીશો વારંવાર બણગા ફુંકતા હોય છે પરંતું તેમ છતાં જેલમાં માત્ર મોબાઈલ ફોન જ નહી પરંતું ગુટખાની પડીકી, તમાકુ અને અન્ય પ્રતિબંધિત ચીજાે મળી આવતી હોય છે. આ ઘટનામાં જેલમાં રીઢા આરોપીઓ સુધી મોબાઈલ પહોંચી જતા તેમાં જેલના કયાં ભ્રષ્ટ કર્મચારીઓની સંડોવણી છે અને તેઓએ કેવા માધ્યમથી કેદીઓ સુધી મોબાઈલ ફોન પહોંચતા કર્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં ચારેય કેદીઓની ધરપકડ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
Loading ...